August 8, 2026
ગુજરાતરાજકારણ

ભાજપમાં આંતરિક રોષ ઉભો થતા મંત્રીમંડળનું સંભવિત વિસ્તરણ હાલ તુર્ત ટાળી દેવામાં આવ્યુ

શિસ્તબદ્ધ જણાતા ભાજપમાં આંતરિક ભડકો થયો હોવાનું જણાઇ રહ્યું છે. આ ભડકો સંભવિત મંત્રીમંડળના વિસ્તરણને લઇને છે. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઇ પટેલે શપથ ગ્રહણ કર્યા બાદ આજે મંત્રીમંડળનું વિસ્તરણ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સૌ પહેલા બપોરે ૨.૨૦ કલાકે બાદમાં સાંજે ૪.૨૦ કલાકે વિસ્તરણની જાહેરાત થઇ હતી. પરંતુ ભાજપમાં આંતરિક રોષ ઉભો થતા મંત્રીમંડળનું સંભવિત વિસ્તરણ હાલ તુર્ત ટાળી દેવામાં આવ્યુ છે અને હવે કાલે અથવા શુક્રવારે તે થાય તેવી શકયતા છે. જાણવા મળતી વિગતો અનુસાર મુખ્યમંત્રી પટેલ અગાઉના મંત્રીમંડળના ૯૦ ટકા સભ્યોને પડતા મુકવા માંગે છે, જેને લઇને આંતરિક રોષ ઉભો થયો છે અને જુથ બેઠકો શરૂ થતા હાઇકમાન્ડને વિસ્તરણ એકાએક મુલત્વી રાખવાની ફરજ પડી છે. નીતિનભાઇ પટેલ અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા જેવા સિનીયર નેતાઓની સંભવિત બાદબાકીને લઇને પણ નારાજગી હોવાનું બહાર આવ્યુ છે. એવું પણ જાણવા મળે છે કે નારાજ ધારાસભ્યો પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના નિવાસે એકઠ્ઠા થયા હતા જ્યાં તેમને મનામણાના પ્રયાસો થયા હતા.

આજે યોજાનારા સંભવિત મંત્રીમંડળનું વિસ્તરણ કેન્સલ થતા મંત્રીમંડળના વિસ્તરણ માટેની તૈયારીઓ થઇ હતી અને બેનરો લગાવાયા હતા તે બપોરે કાઢી નાખવામાં આવ્યા હતા. એવું પણ જાણવા મળે છે કે, ગાંધીનગરના ડખ્ખાના પડઘા દિલ્હીમાં પડ્યા છે અને હાઇકમાન્ડ શું કરે છે તેના ઉપર સૌની નજર કેન્દ્રીત થઇ છે.

મંત્રીમંડળના વિસ્તરણમાં જૂના અને સિનીયરોની બાદબાકી થશે તે નક્કી છે એટલુ જ નહિ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે તેવુ લાગે છે.

જાણવા મળતી વિગત અનુસાર ભાજપે ૨૦૨૨ની ચૂંટણીને ધ્યાનમાં રાખી મંત્રીમંડળના સભ્યોની પસંદગી કરી છે. જેમાં નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા નીતિનભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ સહિત સિનીયરોની બાદબાકી કરવામાં આવે તેવી શકયતા છે. એટલુ જ નહિ કોંગ્રેસમાંથી આવેલા મોટા ભાગના તમામ પ્રધાનોની પણ બાદબાકી થાય તેવી શકયતા છે.

મંત્રીમંડળમાં પાટીદારો અને ઓબીસીને પ્રાધાન્ય આપવામાં આવે તેવી શકયતા છે. એટલુ જ નહિ કોળી સમાજને પણ પુરતુ પ્રતિનિધિત્વ મળે તેવો પ્રયાસ થાય તેવી શકયતા છે. સંભવિત મંત્રીમંડળમાં આર.સી. મકવાણા (ભાવનગર), દેવાભાઈ માલમ (કેશોદ), કેશુભાઈ નાકરાણી (ભાવનગર), ગોવિંદ પટેલ (રાજકોટ), રાઘવજી પટેલ (જામનગર), કિરીટસિંહ રાણા (લીંબડી), આત્મારામ પરમાર (ગઢડા), નીમાબેન આચાર્ય (કચ્છ)ની પસંદગી થાય તેવી શકયતા છે. આ ઉપરાંત જગદીશ પંચાલ, રાકેશ શાહ, દુષ્યંત પટેલ, નિમીષા સુથાર, સી.કે. રાઉલજી, રાજેન્દ્ર ત્રિવેદી, રમણ પટેલ, રૂષિકેશ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, જીતુ ચૌધરી પણ શપથગ્રહણ કરી શકે છે.

સંભવિત મંત્રીમંડળના વિસ્તરણમાં ભાજપના વફાદાર ધારાસભ્યોને જ સ્થાન આપવામાં આવશે તેવુ લાગે છે. નો-રીપીટ થીયરી અપનાવવાનું ભાજપે નક્કી કર્યુ હોવાનું પણ જાણવા મળે છે. એવુ પણ જાણવા મળે છે કે મંત્રીમંડળમાં ૮ થી ૧૦ પાટીદારો અને એટલી જ સંખ્યામાં ઓબીસીને સ્થાન આપવામાં આવશે. ૨૦ થી ૨૨ પ્રધાનો શપથ લ્યે તેવી શકયતા છે.

અત્રે એ નોંધનીય છે કે નવા મંત્રી મંડળને અંતિમ ઓપ આપવા માટે મોડી રાત સુધી બેઠકોના દોર ચાલ્યા હતા. જેમાં ભૂપેન્દ્ર યાદવ અને સંતોષની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી અને તેમા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહ્યા હતા.

અત્રે નોંધનીય છે કે તાજેતરમાં વિજય રૂપાણીના રાજીનામા સાથે ગુજરાતના તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા હતા જે પછી મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી અને તેઓએ ૧૩મી સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. તેમણે એકલા એ જ શપથ લીધા હતા. તે પછી અમિત શાહની આગેવાનીમાં બેઠકો યોજાઈ હતી અને નવા મંત્રી મંડળનો તખ્તો તૈયાર કરાયો હતો.

Related posts

અમદાવાદ: ઔદ્યોગિક વિસ્તારોમાં સરકાર સામાન્ય સુવિધાઓ ઊભી કરશેઃ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત

Ahmedabad Samay

કુબેરનગર વિસ્તારમાં વરસાદના કારણે મકાનની દીવાલ ધરાશય થતા ગીતાબા ચાવડાએ તુરંત સમારકામ ચાલુ કરાયું

Ahmedabad Samay

અમદાવાદ: વરસાદ અંગે મહત્ત્વના સમાચાર, ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી, 207 જળાશયમાં 70.87 ટકા જળસંગ્રહ

Ahmedabad Samay

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા અમદાવાદ ખાતે હોર્સ રાઇડિંગ ક્લબનું ઉદ્ઘાટન કરાયુ

Ahmedabad Samay

અમદાવાદમાં રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ સામે સવાલો, જાણો કેટલા નોંધાયા કેસો

Ahmedabad Samay

“રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ” નું લોકાર્પણ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો