રાજય મંત્રી મંડળની બેઠક આજે સવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલ. જેમાં કોરોનાની પરિસ્થિતિની વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ. હાલનો કેસ વધવાનો પ્રવાહ જોતા આ અઠવાડીયામાં જ મોટા ઉછાળાના એંધાણ છે. તેને અનુલક્ષીને સરકાર પૂર્વ તૈયારી કરી રહી છે. મુખ્ય સચિવશ્રી પંકજકુમારે આજે ૩.૩૦ વાગ્યે તમામ જિલ્લા પ્રભારી સચિવોની તાકીદની બેઠક યોજેલ છે. નિયંત્રણો વધુ કડક થશે.
કોરોનાના કેસનો વ્યાપ વધતા થોડા સમય માટે કરફયુનો સમય વધારવામાં આવે તેવી શકયતા છે. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા વગેરે મહાનગરોમાં હાલ રાત્રે ૧૦ થી ૬ કરફયુનો સમય છે તે રાત્રે એક-બે કલાક વધારવામાં આવે તેવી શકયતા છે. વેપાર – ધંધા ચાલુ રહેવાની સાથે કોરોના નિયંત્રણમાં રહે તેવી સરકારની લાઇન છે. સરકારી કચેરીઓમાં પ૦ ટકા હાજરીથી કામ ચલાવવાનું વિચારાધીન હોવાનું જાણવા મળે છે.
ખાનગી ક્ષેત્રે પણ આવા નિયંત્રણો આવી શકે છે. કોરોનાની હાલની ગાઇડ લાઇન તા. રર સુધીની છે બે દિવસમાં નવી ગાઇડ લાઇન જાહેર થવાના નિર્દેષ છે.

