શાળાઓ પુનઃ શરૂ કરવા અંગેના ઘટના ક્રમ અંગે સંકાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, એવા રાજ્યો કે જ્યાં કોવિડ-૧૯ના કેસ ઓછા છે તેઓ પુનઃ શાળાઓ શરૂ કરવા માંગે છે અને તેમાં સિનિયર વિદ્યાર્થીઓને લાવવા માગે છે.
માનવ સંસાધન વિભાગ અને આરોગ્ય મંત્રાલયે જે ગાઇડલાઇન્સ તૈયાર કરી છે તેમાં એવી ભલામણ કરવામાં આવશે કે તબક્કાવાર શાળાઓ શરૂ કરવી. પહેલા ૧૫ દિવસ માટે ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને શાળાએ આવવા જણાવવું. વિવિધ સેકશનના કલાસના વિદ્યાર્થીઓને કોઇ ખાસ દિવસે શાળાએ આવવા જણાવવામાં આવશે. એવી સ્કુલ કે જ્યાં ધો. ૧૦ના ૪ વર્ગ હોય તો વર્ગ ‘અ’ અને ‘ક’ ના વિદ્યાર્થીઓને કોઇ ખાસ દિવસે અને બાકીનાને બીજા દિવસે બોલાવવા આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શાળામાં હાજરી આપવાનો સમય પણ ૫ થી ૬ કલાક હોય છે તે ઘટાડીને ૨ થી ૩ કલાક કરવા પણ શાળાઓને જણાવાશે. દરેક શાળાઓને સવારે ૮ થી ૧૧ અને બપોરે ૧૨ થી ૩ આવવાનું જણાવાશે. જેમાં ૧ કલાકનો બ્રેક સેનેટાઇઝર માટે રાખવામાં આવશે. શાળાઓને શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓની ૩૩% ક્ષમતા સાથે કામ કરવા જણાવાશે.
સરકાર પ્રી-પ્રાયમરી અથવા પ્રાયમરી શાળાઓના વિદ્યાર્થીઓને બોલાવાની તરફેણમાં નથી. તેઓને માટે ઓનલાઇન કલાસ જ હાલ તુરંત રહેશે. ધો. ૧૦ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ કરાયા બાદ થોડા કલાકો માટે ધો. ૬ થી ૯ના વિદ્યાર્થીઓને બોલાવવાનું જણાવાશે.
