છેલ્લા કેટલાક વખતથી મોંઘવારી ડાકલા વગાડી રહી છે. જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓના ભાવ ભડકે બળવા લાગતા મધ્યમ વર્ગની સ્થિતિ કફોડી બની ગઇ છે અને ટુંકા પગારમાં પુરૂં કેમ કરવું તેવો સવાલ સતાવી રહ્યો છે.
દૂધ – તેલ – ઘી – અનાજ – કઠોળ – શાકભાજી – મસાલા સહિતની બધી ચીજો મોંઘી થઇ છે. હજુ પેટ્રોલ – ડીઝલના ભાવ ગમે ત્યારે વધવાના છે.
લીલા શાકભાજી અને કઠોળના આસમાને પહોંચેલા ભાવ ઘટવાનું નામ લેતા નથી, તો બીજી તરફ દૂધના ભાવ વધારાને લીધે ચોખ્ખા ઘીના ભાવોમાં રૂ.૫૦નો વધારો થયો છે. પનીરના ભાવોમાં પણ રૂ.૩૦થી વધુનો વધારો થતા ગૃહિણીઓ પરેશાન છે. દિન-પ્રતિદિન દરરોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ભાવોમાં આવી રહેલા વધારાને લીધે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયુ છે.
બીજી તરફ ચા પત્તીના ભાવોમાં પણ રૂ. ૪૦નો વધારો થઈ ગયો છે. ચણાના લોટના ભાવો રૂ.૬૫ના સીધા ૯૦ થઈ જતા ફરસાણમાં ચણાના લોટની સાથે મકાઈ અને વટાણાનો લોટ ભેળસેળ કરીને વાપરવામાં આવી રહ્યો છે.
ગુજરાતી થાળી પહેલા ૧૩૦માં મળતી હતી તે વધીને રૂ.૧૮૫ થઈ ગઈ છે. દૂધની બનાવટ અને ખાંડમાં વધેલા ભાવને લીધે મીઠાઈના ભાવો વધી ગયા છે.
શાકભાજી, કઠોળ અને દૂધની બનાવટના ભાવો આસમાને પહોંચી ગયા છે. આમ છતા પૂરવઠા વિભાગ માત્ર તમાશો જુએ છે.
ગૃહિણીઓએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા વખતો-વખત કહેવામાં આવે છે કે, થોડી ધીરજ રાખો મોંઘવારી ઘટશે. જો કે ઊલટાનું મોંઘવારી વધતી જાય છે. હવે ખાવું જ શું? તે પ્રશ્ન મધ્યમવર્ગને સતાવી રહ્યો છે.
ભીંડા,ગવાર, પરવર સહિત લીલા શાકભાજીના ભાવો રૂ.૯૦થી રૂ.૧૨૦ ચાલી રહ્યા છે. જેના લીધે શાક ઓછું લાવીને ખાવાનો વારો આવ્યો છે. શાકની જગ્યાએ કેટલીકવાર રસોઈમાં કઠોળ બનાવવામાં આવતું હતું જેમાં પણ ધીમે ધીમે ઊછાળો આવ્યો છે. કાબૂલી ચણા રૂ.૧૪૦, અડદની દાળ કિલોના રૂ.૧૨૦, તુવેરની દાળ કિલોના રૂ.૧૧૦, મગની દાળ કિલો રૂ.૧૧૫ થઈ ગઈ છે.
હોલસેલ શાકમાર્કેટના વેપારીઓ જણાવી રહ્યા છે કે, શાકભાજી હોલસેલનો ભાવ તો રૂ.૫૫થી ૬૫ ચાલી રહ્યા છે. આ રિટેઈલના વેપારીઓ ખોટા ભાવો લઈ રહ્યા છે. રિટેઈલના વેપારીઓ જણાવી રહ્યા છે કે, વહેલી સવારે હોલસેલમાં શાક ખરીદવા જવું પડે છે. શાક ખરીદીને તેને ઓટોરિક્ષામાં વેચાણના સ્થળે જતા હોય છે. એટલે ખર્ચા કાઢીને કિલોએ રૂ.૨૫દ્મક ૩૦ કમાવા તો પડે ને? આમ રિટેઈલરોની મનમાનીના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે.
વેપારીઓ કહી રહ્યા છે કે, ભગવાને દરરોજ દીવો કરવા માટે અત્યાર સુધી ચોખ્ખા ઘીનો ઉપયોગ કરતા હતા, પરંતુ દૂધના ભાવ વધારાને લીધે ચોખ્ખા ઘીના ભાવોમાં સીધો જ રૂ. ૫૦નો ઉછાળો આવ્યો છે. જેના લીધે હવે વનસ્પતિ ઘીનો ઉપયોગ કરવાનો વારો આવી ગયો છે. ખરેખર મોંઘવારી ઘટાડવામાં કેન્દ્ર કે રાજય સરકારને કોઈ જ રસ નથી, જેના લીધે મોંઘવારીએ માઝા મૂકી છે.
સારી કંપનીની ચા પત્તીના ભાવોમાં વધારો થયો છે. પહેલા ૪૧૫ની આસપાસ મળતી ચા પત્તીમાં અચાનક રૂ.૪૦નો વધારો કરીને રૂ.૪૫૫ થઈ ગયો છે. ગૃહિણીઓ ખરીદી કરવા માટે દુકાનમાં જાય એટલે વેપારીને પૂછી લે છે કે, આજે કઈ ચીજમાં વધારો થયો છે?
ચણાના લોટના ભાવોમાં સામાન્ય વધારો થયો હોવા છતા ફરસાણના ભાવોમાં અસહ્ય વધારો કરવામાં આવ્યો છે. જેના લીધે કેટલાક લેભાગુ વેપારીઓ દ્વારા ચણાના લોટમાં મકાઈ અને વટાણાનો લોટનો ઉપયોગ કરીને ગ્રાહકોને છેતરી રહ્યા છે. એટલુ જ નહીં ફરસાણમાં ભેળસેળ યુકત લોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલમાં ગાંઠીયા, ફાફડા, પાપડી રૂા.૪૦૦ થી ૫૦૦ કિલો વેચાણ થઈ રહ્યા છે.
