ગુજરાત સરકારનો એર એમ્બ્યુલન્સ પ્રોજેકટ આખરે સોમવારે શરૂ થયો છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી પુર્ણેશ મોદીએ અમદાવાદ એરપોર્ટ ખાતેની ગુજસેઇલની ઓફિસેથી આ સેવાનું ઉદઘાટન કરીને પ્રોજેકટને શરૂ કરવાની જાહેરાત કરી હતી.
આ પ્રોજેકટ આરોગ્ય વિભાગ અને જીવીકે -એમરીના સહિયારા પ્રયાસથી ચાલશે જે રાજ્યમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ચલાવે છે. આ એર એમ્બ્યુલન્સ સેવા ૧૦૮ સેવા દ્વારા ઉપલબ્ધ રહેશે અને હોસ્પિટલથી એરપોર્ટ સુધી દર્દીને મફત લઇ જવાશે જો કે દર્દીના સગાઓએ એર એમ્બ્યુલન્સ સેવા માટે કલાકના ૫૫ થી ૬૫ હજાર રૂપિયા ઉપરાંત અન્ય એરપોર્ટ ચાર્જ પણ ચૂકવવો પડશે આ ચાર્જ ગુજસેઇલને ચુકવવો પડશે.
જીવીકે એમરીના અધિકારીએ કહ્યુ કે એર એમ્બ્યુલન્સને બુક કરવાની પ્રક્રિયા રોડ એમ્બ્યુલન્સ જેવી જ રહેશે જેમાં આ સર્વિસ લેવા ઇચ્છનાર વ્યકિતએ ૧૦૮ હેલ્પલાઇન ફોન કરીને દર્દીની વિગત, મેડીકલ હીસ્ટરી, કઇ હોસ્પિટલમાં દાખલ છે અને દર્દીને કયાં લઇ જવાનો છે તેની માહિતી આપવાની રહેશે.
અત્યારે આ સેવા ફકત ગુજરાતમાં જ આપવામાં આવશે. પણ ગુજરાત બહાર દર્દીને લઇ જવાની વિનંતી મેડીકલ એડવાઇસના આધાર પર સ્વીકારી શકાશે. આ સેવા માટે ૨૦ વર્ષ જુનુ બીચક્રાફ્રટ ૨૦૦ વિમાન વપરાશે. જે આ પહેલા મુખ્યપ્રધાન અને વીવીઆઇપી માટે હતું. એર એમ્બ્યુલન્સમાં એક ડોકટર અને બે પેરામેડીકલ સ્ટાફ રહેશે. વિમાન એક વેન્ટીલેન્ટર, ડીફાઇબ્રીલેટર, ઇસીજી મોનિટર વગેરેથી સજ્જ હોવાનું ગુજસેઇલના અધિકારીએ જણાવ્યું હતું.
