પવિત્ર યાત્રાધામ ચોટીલા બે દિવસીય ‘ચોટીલા ઉત્સવ-૨૦૨૩’નો આજ રોજ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે શુભારંભ કરવામાં આવ્યો.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે ભારત વિશ્વભરમાં તેના ઉત્સવોની વિવિધતા માટે પ્રખ્યાત છે અને ભારતવાસીઓ અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવો અનેરા ઉમંગ, ઉત્સાહથી મનાવે છે. પરંપરાગત સંસ્કૃતિની જાળવણી અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનમાં ઉત્સવોની ઉજવણીની ભૂમિકા સમજી રાજ્ય સરકાર દ્વારા સોમનાથ, ડાકોર, શામળાજી, ચોટીલા સહિતના ૧૧ ધાર્મિક સ્થળોએ દર વર્ષે દ્વિદિવસીય ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે તેમ જણાવતા નાયબ દંડકશ્રીએ ઉમેર્યું હતું કે આ પ્રકારની ઉજવણીથી ગુજરાતના અમૂલ્ય સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સંવર્ધન તો થઈ જ રહ્યું છે એ ઉપરાંત પ્રતિભાશાળી સ્થાનિક કલાકારોને પોતાના કલાકૌશલ્યનું પ્રદર્શન કરવા માટે એક સુંદર મંચ પણ ઉપલબ્ધ થઈ રહ્યું છે. કોરોનાના કારણે મોકૂફ રહ્યા બાદ પવિત્ર ચોટીલા ધામમાં મા ચામુંડાના આશીર્વાદ તળે આ કાર્યક્રમ થઈ રહ્યો છે તેનો આનંદ વ્યક્ત કરતા તેમણે સુંદર આયોજન બદલ વહીવટી તંત્રને અભિનંદન પાઠવતા જિલ્લા વાસીઓને આ ઉત્સવ અંતર્ગત યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમોને મનભરી માણવા અપીલ કરી હતી.
