સુરેન્દ્રનગર જિલ્લામાં એરંડાનું મોટાપાયે વાવેતર કરવામાં આવ્યુ છે. ત્યારે ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલા એરંડાની ચોરી થવાની ઘટના ધ્રાંગધ્રા અને લખતર તાલુકામાં બની હતી. જેનો એલસીબીની ટીમે ભેદ ઉકેલીને 2 આરોપીને પકડી લીધા હતા. કુલ 4 આરોપીઓએ મળીની 3 ગામની સીમમાં એરંડાની ચોરી કરી હતી.
…સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને લખતર તાલુકાના કારેલા અને અંકેવાળીયા તથા ધ્રાંગધ્રાના જસાપર ગામની સીમમાંથી એરંડાની ચોરી થઇ હતી. આ બાબતે એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદીની સુચનાથી એલસીબી ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં મુળ ગેડીયા ગામના નસીબખાન હુશેનખાન જત મલેક તથા ઝેઝરી ગામે રહેતો સોહિલખાન અજીતખાન જતમલેકને પોલીસે પકડી લીધા હતા. પુછપરછમાં તેમણે ઇંગરોળીના સીરાજ રહીમખાન જતમલેક અને માલવણના અબદુલ્લખાન દિલાવરખાન જત મલેકે સાથે મળીને કારેલા, અંકેવાળીયા અને જસાપરની સીમમાં એરંડાની ચોરી કરી હતી. તેમાં સીરાજખાનની ગાડી લઇને એરંડાની ચોરી કરવા ગયા હતા. આ કેસમાં સીરાજ રહીમખાન ગુજસીકોટના ગુનાનો આરોપી છે અને પેરોલ જંપ કરેલો છે. આરોપીઓએ એરંડા વેચીને મેળવેલા રૂ.49 હજાર પણ તેમની પાસેથી મળી આવ્યા હતા. એલસીબીની ટીમે નાશતા ફરતા વધુ બે આરોપીને પકડવા માટે દોડધામ શરૂ કરી છે.
