સુરતના એક જ્વેલર્સે અયોધ્યાના રામ મંદિરની આબેહૂબ ચાર પ્રતિકૃતિ બનાવી છે. આ ચારેય પ્રતિકૃતિની ખાસ વાત એ છે કે આ ચાંદીથી બનાવવામાં આવી છે. 600 ગ્રામથી લઈને 5 કિલો સુધીનું વજન ધરાવતી રામ મંદિરની ચાર અલગ-અલગ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.
જણાવી દઈએ કે, અયોધ્યામાં હાલ ઔતિહાસિક અને ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે સુરતમાં એક જ્વેલર્સે અયોધ્યાના રામમંદિરની જેમ અલગ-અલગ એમ ચાર સુંદર આબેહૂબ પ્રતિકૃતિ તૈયારી કરી છે. આ ચારેય પ્રતિકૃતિની ખાસ વાત એ છે કે આ પ્રતિકૃતિઓને ચાંદીથી બનાવવામાં આવી છે. 600 ગ્રામથી લઈને 5 કિલો સુધીના વજન સાથે આ પ્રતિકૃતિ બનાવાઈ છે. માહિતી મુજબ, આ પ્રતિકૃતિ બનાવવા માટે પહેલા જ્વેલર્સ દ્વારા એક લાકડાનું રામ મંદિર તૈયાર કરાયું હતું અને ત્યારબાદ આ મંદિરના આધારે ચાંદીથી ચાર રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરાઈ.
સૌથી મોટી પ્રતિકૃતિની કિંમત 5 લાખ રૂપિયા
માહિતી મુજબ, આગામી દિવસોમાં ચાંદીથી નિર્મિત રામ મંદિરની આ ચાર પ્રતિકૃતિઓને લોકો જોઈ શકે તેવી વ્યવસ્થા કરાશે. જણાવી દઈએ કે, રામ મંદિરની પ્રતિકૃતિમાં સૌથી નાની પ્રતિકૃતિ 600 ગ્રામની છે અને તેની કિંમત અંદાજે 80 હજાર રૂપિયા છે, જ્યારે સૌથી મોટી પ્રતિકૃતિની કિંમત 5 લાખ રૂપિયા છે. બીજા નંબરની પ્રતિકૃતિ સવા કિલોની છે. જ્યારે ત્રીજી પ્રતિકૃતિ સાડા ત્રણ કિલો અને ચોથી પ્રતિકૃતિ પાંચ કિલોની છે. સતત બે મહિનાની મહેનત બાદ ચાર કારીગરની ટીમે આ ચારેય પ્રતિકૃતિ બનાવી છે. આ માટે સૌથી પહેલા અયોધ્યાના રામ મંદિરનો બારીકાઈથી અભ્યાસ કરવામાં આવ્યો હતો.
