શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓના દફતરનો ભાર વધતો જાય છે અને સાથે અધધ હોમવર્કના દબાણથી હાલનો વિદ્યાર્થી આ ભણતરના ભારમાં બેવડ વળી જાય છે. જયારે નિયમ મુજબ અને તજજ્ઞના અભ્યાસ બાદ દફતરનું વજન બાળકના વજનના દસમા ભાગથી વધુ હોવું જોઇએ નહીં અને હોમવર્ક ધોરણ પ્રમાણે ૧૦ મિનિટથી વધુ વધવું જોઇએ નહીં.
બાળકના દફતરનું વજન બાળકના વજન કરતા ૧૦મા ભાગનું રાખવાનો આદેશ કરાયો છે. નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીએ ભાર વિનાના ભણતર અંગે કરેલી રજૂઆત બાદ ડીઈઓએ આદેશ કર્યો હતો. સ્કૂલોને બિનજરૂરી પુસ્તકો ના મંગાવવા ડીઈઓ રોહિત ચૌધરીએ તમામ શાળાઓને આદેશ કર્યો હતો.
નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીએ રજૂઆત કરી હતી કે, ધોરણ ૧ થી ૮ના વિદ્યાર્થીઓને એક એક વિષય માટે ત્રણ નોટબુક અને વર્કબુક લાવવા માટે કહેવામાં આવે છે. દફતરનું વજન કેટલાક કિસ્સાઓમાં બાળકના વજન કરતા વધારે હોય છે. જેના કારણે બાળકોને દફતર ઉંચકવામાં તકલીફ ના પડે એ માટે વ્યવસ્થા ગોઠવવા રજૂઆત કરી હતી. અમદાવાદ શહેરની સ્કૂલોને લેખિત સૂચના આપવા અપીલ કરી હતી.
ડીઈઓએ કહ્યું કે આરટીઈ ના નિયમ મુજબ ૨૦૧૮માં પણ શિક્ષણ વિભાગે દફતરના વજન અંગે તમામને સૂચના આપેલી છે. વિદ્યાર્થીઓ બિનજરૂરી પુસ્તકો ના લાવે તેનું ધ્યાન રાખવા માટે આ આદેશ કર્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, તબીબોના તારણ જોતા ભારે દફતરના કારણે કરોડના મણકાઓને નુકસાન થઇ શકે છે. વાંકા વળવામાં તકલીફ થાય, સ્નાયુઓ ખેંચાય, કુર્ચાઓને નુકસાન, ઉઠવા, બેસવા, ચાલવામાં તકલીફ, ખંભાના સ્નાયુઓ અને હાડકાને તકલીફ, નાની ઉંમરે સ્પોન્ડી લાઇટીસ અને ઓસ્ટીઓઆયોઇટીસ થઇ શકે છે.