સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ કદ્દાવર કોળી આગેવાન સોમા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે.ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને લખેલા પત્રમાં સોમા પટેલે અંગત કારણોસર પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા હોવાનું જણાવ્યું છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસે અહીં ઋત્વિક મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે.
સુરેન્દ્રનગર લોકસભા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. આ બેઠક પર અત્યાર સુધીની 15 ચૂંટણીઓ પૈકી 7 વખત કોંગ્રેસ ઉમેદવારોએ જીત મેળવી છે. જ્યારે છેલ્લી બે ટર્મથી ભાજપના ઉમેદવાર જીતી રહ્યાં છે. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મુંજપરાએ કોંગ્રેસના સોમા પટેલને હરાવ્યા હતા. આજે કોંગ્રેસ સાથે છેડો ફાડનાર સોમા પટેલ અગાઉ ભાજપમાં જોડાયા હતા.
સોમા પટેલ પક્ષ પલટા માટે જાણીતા છે. આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર સોમા પટેલ અગાઉ પણ 2020માં હાથનો સાથ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. જો કે પાછળથી ફરીથી સોમા પટેલે કોંગ્રેસમાં ઘર વાપસી કરી હતી.
