રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસ અને ‘આપ’ના સંયુકત ઉમેદવાર પરેશભાઇ ધાનાણી રાજકોટ તથા ગ્રામ્ય વિસ્તારોમાં સ્કૂટર રેલી, લોકસંપર્ક, જાહેરસભાઓ કરીને ભાજપની કેન્દ્ર અને રાજય સરકાર સામે વિવિધ મુદ્દે આક્રોશ ઠાલવી રહ્યા છે અને ‘સ્વાભિમાન યુધ્ધ’ અંતર્ગત જાહેરસભાએ ગજવે છે.
પરેશભાઇ ધાનાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, દેશમાં હાલ બહુમતીના જોરે રચાયેલી સરકારે અસહય મોંઘવારી વધારી દીધી છે તેમજ દરરોજની જીવન નિર્વાહની ચીજોના ભાવો આસમાને પહોંચાડી દીધા છે. દરેક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં ભાવ વધારીને આ ભાજપ સરકાર ધોળે દિવસે લૂંટ ચલાવી રહી છે.
ત્યારે આમજનતા તેમજ ગૃહિણીઓ આર્થિક રીતે આ મોંઘવારીનો ભાર સહન કર્યે જાય છે છતાં પણ હાલની ચૂંટાયેલી સરકાર ભાવ વધારાથી લોકોની તકલીફ પ્રત્યે ધ્યાન આપતી નથી.
દેશમાં દિન પ્રતિદિન લોકોની આવક ઓછી થતી જાય છે અને લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. ત્યારે રાજકોટ લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પરેશ ધાનાણી એ મોંઘવારી મુદ્દે રાજકોટમાં એક જાહેરસભામા ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા.
પરેશભાઇ ધાનાણી આજે સવારના ૮ વાગ્યાથી રાજકોટ લોકસભા મત વિસ્તારના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુકત ઉમેદવાર પરેશભાઇ ધાનાણી આજે વાંકાનેર તાલુકાના ચંદ્રપુર, કેરાળા, જેતપરડા, પલાસાડી, સરધારકા, ગાંગીયાવદર, કાછીયાગાળા, દલડી, દિઘલીયા, પાજ, ગારીયા, લીંબાળા, કોઠી, ભલગામ, મેસરીયા, સતાપર, સમઢીયાળા, ગારીડા, મહિકા, જોધપર સહિતના ગામોના પ્રવાસે છે.
