પશ્ચિમ ઉત્તર પ્રદેશના મેરઠના બ્રહ્મપુરી વિસ્તારના ઈન્દિરા નગરમાંથી સનસનીખેજ સૌરભ કુમાર હત્યાકાંડમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. સૌરભ દીકરીને બર્થ ડે મનાવવા માટે લંડનથી પરત ફર્યો હતો. પત્ની મુસ્કાને બોયફ્રેન્ડ સાહિલ સાથે મળીને તેનું મર્ડર કરી નાખ્યું. બાદમાં લાશના ૧૫ ટુકડા કરી નાખ્યા. ટુકડાને એક ડ્રમમાં ભર્યા અને પોતાના જ ઘરમાં છુપાવી દીધા. બાદમાં બોયફ્રેન્ડ સાથે ફરવા જતી રહી. મુસ્કાનની કરતૂતે તેના માતા-પિતાને પણ કયાંય મોં બતાવવા જેવા રહેવા દીધા નહીં. તેમણે દીકરીને કડકમાં કડક સજા આપવાની માગ કરી છે. મુસ્કાનના પિતાએ કહ્યું કે, મારી દીકરી છેલ્લા બે વર્ષથી ડ્રગ્સ લઈ રહી હતી.
તો વળી મુસ્કાનની મા કવિતા રસ્તોગીએ જણાવ્યું કે, ૧૮ તારીખના રોજ દીકરી મુસ્કાનનો ફોન આવ્યો હતો. ફોન પર રડી રહી હતી. મેં પૂછયું કે શું થયું. લડાઈ થઈ કે શું? બંને ઝઘડતા રહેતા હતા, પણ કયારેય આવું નહોતું વિચાર્યું. મેં તેને ઘરે આવવા માટે કહ્યું, બીજા દિવસે તે ઘરે આવી. મેં પૂછયું કે સૌરભ કયાં છે? તો ચૂપ થઈ ગઈ? પછી બોલી કે મેં તેનું મર્ડર કરી નાખ્યું છે. તેણે કહ્યું કે, તે પોતાના પરિવારનો સાથ નથી છોડી રહ્યો. મેં તેની વાતો પર વિશ્વાસ ન કર્યો. મેં કહ્યું કે, મર્ડર કેવી રીતે કર્યું. તું પંદર દિવસ તેની સાથે રહી તો બોલી કેમ નહીં. અમે કહ્યું કે તે કંઈક ખોટું કર્યું છે. સાચું કહી દે નહીંતર પોલીસ બધું બહાર લાવશે.ઙ્ઘ પછી મુસ્કાનના પિતાએ તેને વિશ્વાસમાં લીધી. જ્યારે તેને લાગ્યું કે, પિતા તેના પક્ષમાં છે તો તે પોપટની જેમ બોલવા લાગી. મેં સૌરભનું મર્ડર કરી નાખ્યું છે, એક છોકરા સાથે મળીને.
તેણે આગળ કહ્યું કે, હું એ કહેવા માગું છું કે સૌરભને ન્યાય મળવો જોઈએ. હું દેખાડા માટે નથી કહેતી. તે અમારો પણ દીકરો હતો. બીજા ઘરનો દીકરો ગયો છે. આ મારા ભગવાનને ખબર છે. મારા બાળકોને ખબર છે. હું આ એટલા માટે કહી રહી છું કે, સૌરભ જાણે છે. અમે તેની બહુ ઈજ્જત કરતા હતા. તે પણ અમારી બહુ ઈજ્જત કરતો હતો. મારી દીકરીને ફાંસી થવી જોઈએ. મારો જમાઈ તો દેવતા હતો, પણ દીકરી ડાકણ નીકળી.
મુસ્કાન અને સૌરભ કુમારે ૨૦૧૬માં લવ મેરેજ કર્યા હતા. બાદમાં યુવકને મર્ચન્ટ નેવીમાં નોકરી લાગી. પત્નીને એકલા રહેવું ગમતું નહોતું. ૨૦૧૯માં મોહિત ઉર્ફ સાહિલ શુક્લાની મુસ્કાન સાથે મુલાકાત થઈ. બંનેની દોસ્તી થઈ અને પ્રેમ થયો. પત્નીને સરપ્રાઈઝ આપવા માટે પતિ લંડનથી દીકરીના બર્થ ડે પર મેરઠ આવ્યો, પણ બર્થ ડેના થોડા દિવસ બાદ અચાનક સૌરભ ગાયબ થઈ ગયો. મુસ્કાને પહેલા ફરવા જવાની વાત આજુબાજુના લોકો અને સાસરિયામાં કહી દીધી. જેથી કોઈને શંકા ન જાય. પતિની હત્યા કર્યા બાદ મુસ્કાન હનીમૂન મનાવવા માટે જતી રહી.
પતિના મોબાઈલથી સોશિયલ મીડિયા પર અમુક ફોટો પણ અપલોડ કર્યા, જેથી લોકોને લાગે કે તે પતિ સાથે મુસ્કાન ફરવા ગઈ છે. લોકોએ એવું પણ કહ્યું કે, મનાલીમાં મુસ્કાન અને તેના બોયફ્રેન્ડ સાહિલે લગ્ન કરી લીધા છે અને હવે ફરાર થવાનો પ્લાનિંગ કરી રહ્યા હતા. પતિના ખાતામાંથી ૬ લાખ ઉપાડવાના હતા પણ સૌરભ વિના તે થઈ શકયું નહીં. તેના માટે મુસ્કાને પોતાની માતાની મદદ માગી પણ જ્યારે માતાએ સૌરભ વિશે પૂછપરછ કરી તો ભાંડો ફૂટયો.
મુસ્કાને જણાવ્યું કે, તેણે અને તેના બોયફ્રેન્ડે મળીને સૌરભની હત્યા કરી નાખી. આ સાંભળી મુસ્કાનના માતા-પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ અને તેમણે પોલીસ બોલાવી લીધી. પોલીસે જ્યારે કડકાઈથી પૂછપરછ કરી તો હત્યાના રહસ્ય પરથી પડદો ઉઠ્યો. ઘરમાં રહેલા ડ્રમમાં કલાકો સુધી કોશિશ કર્યા બાદ આખરે ડ્રમમાંથી ૧૫ ટુકડા કાઢયા. કારણ કે પત્નીએ પતિની લાશના ટુકડા કરી અને ડ્રમમાં નાખી બાદમાં ઉપરથી સિમેન્ટ ભરી દીધી હતી. પોલીસે કલાકોની મહેનત બાદ આખરે ટુકડા કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલાવી દીધા. હાલમાં મુસ્કાન અને તેના પ્રેમી સાહિલ શુક્લાએ પોતાનો ગુન્હો કબૂલ કરી લીધો છે અને તેઓ પોલીસની કસ્ટડીમાં છે.
