મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં ચેટીચંડ પર્વની સાંસ્કૃતિક ઉજવણીમાં સિંધી સમાજ સાથે ઉત્સાહ અને ઉમંગથી સહભાગી થઈને સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે તેમણે નરોડા ખાતેથી ચેટીચંડ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવી અને સિંધી પરિવારોની સાથે આનંદમાં જોડાયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમગ્ર સિંધી સમાજને ચેટીચંડની હાર્દિક શુભકામનાઓ આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે ચેટીચંડની ઉજવણી સાથે ચૈત્રી નવરાત્રીનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. આ પવિત્ર પર્વ સિંધી સમાજની દરિયાદિલી અને પુરુષાર્થનો પરિચય કરાવે છે. સિંધી સમાજ આફતને અવસરમાં બદલી દેનારો પરિશ્રમી સમાજ છે. ગુજરાતની પ્રગતિમાં સિંધી સમાજે સક્રિય યોગદાન આપીને એક ભારત, શ્રેષ્ઠ ભારતના મંત્રને સાકાર કર્યો છે. કોઈ એવું ક્ષેત્ર નથી જ્યાં સિંધી સમાજની સફળતાનો ઝંડો ન લહેરાતો હોય. સિંધથી આવીને ગુજરાતને પોતાની માતૃભૂમિ અને કર્મભૂમિ બનાવનારા સિંધી સમાજની ઓળખ અને ભાષા ભલે સિંધી હોય, પણ આ સમુદાય ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયો છે.
તેમણે વધુમાં કહ્યું કે ધાર્મિક પર્વના આવા સામૂહિક આયોજનથી નવી પેઢીને ઈતિહાસ અને પરંપરાઓ સાથે જોડાવાનો અવસર મળે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવી પેઢીને વિરાસતથી પરિચિત કરાવવા અને ભવિષ્યની ચિંતા કરીને ‘કેચ ધ રેઈન’, ‘એક પેડ માં કે નામ’ અને સ્વચ્છ ભારત જેવા અભિયાનો શરૂ કર્યા છે. આ તમામ અભિયાનોમાં સિંધી સમાજ સક્રિય ભૂમિકા ભજવે તેવી અપીલ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી હતી.
આ અવસરે ધારાસભ્ય પાયલબહેન કુકરાણીએ જણાવ્યું કે રાજ્યના વિકાસમાં સિંધી સમાજનું યોગદાન સતત મળતું રહેશે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની પ્રશંસા કરી હતી. કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ, અનેક ધારાસભ્યો, કાઉન્સિલરો તેમજ મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ચેટીચંડની આ ઉજવણીએ સિંધી સમાજની સંસ્કૃતિ અને ગુજરાત સાથેના તેમના અતૂટ જોડાણને ઉજાગર કર્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સહભાગિતાએ આ આયોજનને વધુ યાદગાર બનાવ્યું.
