ગુજરાતી અખબાર ગુજરાત સમાચારનાં ડિરેક્ટર સ્મૃતિબેન શાહનું ગઇકાલે સાંજે અવસાન થયું છે. તેઓનું નામ ગુજરાતી પત્રકારત્વનાં સંચાલક મંડળમાં ખૂબ જ આદરપૂર્વક લેવાય છે. ગુજરાત સમાચાર સાથે જોડાયેલાં સ્મૃતિ શાહ તેમની અદભૂત નિર્ણયક્ષમતા અને મેનેજમેન્ટ કુશળતાને કારણે જાણીતાં બન્યાં હતાં. ગુજરાત સમાચાર દ્વારા મહિલા સાપ્તાહિક ‘‘શ્રી”શરૂ કરીને જાણે સ્મૃતિબહેને ગુજરાતી લેખિકાઓને નવી દિશા અને પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. ગુજરાત સમાચારના મેનેજિંગ તંત્રી શ્રેયાંસભાઈ શાહનાં ધર્મપત્ની તરીકે પણ તેઓએ જિંદગીભર આદર્શ ભૂમિકા અદા કરી.
ગઇકાલે સાંજે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. ગુજરાતી અખબારી સંચાલકોમાં એક નારી તરીકે તેઓએ ઉજ્જવળ કામગીરી બજાવી છે. તે હંમેશને માટે યાદ રાખવામાં આવશે. સ્મૃતિબહેને સતત ગુજરાત સમાચારના મેનેજમેન્ટમાં ભાગ લઈ વ્યવસ્થાપન વિદ્યા અને આધુનિક પ્રણાલિકા તેઓએ પોતાની આત્મસુઝથી વિકસાવી હતી. આ સાથે જ તેઓએ નવી પેઢીનાં પત્રકારોનાં ઘડતરમાં બહુ જ અમૂલ્ય ફાળો આપ્યો છે.
