લોકડાઉનનો ત્રીજો તબક્કો ત્રીજી મેના રોજ પૂરો થઇ રહ્યો છે તે ચાલુ રાખવું કે સમાપ્ત કરવું એ અંગેનો આધાર રાજયોના રિપોર્ટ પર કેન્દ્ર સરકારે નિર્ણય લેવાનો છે.
આ દરમ્યાન ગૃહ મંત્રાલયે એક ટવીટ થકી જણાવ્યું છે કે, ૪ મેથી અનેક જિલ્લાઓમાં છુટછાટ મળશે. આ અંગેની ગાઇડલાઇન એકાદ બે દિવસમાં બહાર પડશે, પ્રતિબંધોને લઇને ગાઇડલાઇન બાદમાં જાહેર કરવામાં આવશે. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તે વિસ્તારોમાં છુટ મળશે જયાં છેલ્લા ર૮ દિવસમાં કોઇ કોરોનાનો કેસ સામે આવ્યો નથી. આ ઉપરાંત ઓરેન્જ ઝોન એટલે કે એવા વિસ્તાર જયાં છેલ્લા ૧૪ દિવસમાં કોરોનાના કોઇ નવા કેસ ન આવ્યા હોય ત્યાં પ્રતિબંધો પર કેટલીક છુટ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત રેડ ઝોનમાં પણ કેટલીક છુટ મળી શકે છે, પરંતુ એવા સંકેત મળી રહ્યા છે કે હોટસ્પોટ ઝોનમાં હાલ કોઇ છુટ નહીં આપવામાં આવે. ગૃહ મંત્રાલય મુજબ, બુધવારે લોકડાઉનને લઇ રિવ્યૂ મીટીંગ થઇ. ગૃહ મંત્રાલય તરફથી ટવિટ કરતા કહેવામાં આવ્યું છે કે દેશને લોકડાઉનથી ઘણો ફાયદો મળ્યો છે અને હાલત ઝડપથી સુધરી રહી છે. સાથોસાથ એવું પણ કહેવામાં આવ્યું છે કે લોકડાઉનનો ફાયદો હાથથી સરકી ન જાય તેથી આપણે ૩ મે સુધી તેનું સખ્તાઇથી પાલન કરવું પડશે. ગૃહ મંત્રાલયે ગઇકાલે સાંજે એક બેઠક યોજી હતી. સ્થિતિની સમીક્ષા પણ થઇ હતી તે પછી પ્રવકતાએ કહ્યું હતું કે લોકડાઉનનો ઘણો ફાયદો થયો છે અને સ્થિતિ સુધરી છે આ લાભ ચાલુ રહે તેથી ૩ મે સુધી કડક નજર રખાશે. નવા દિશા-નિર્દેશ ૪ મેથી લાગુ થશે. જેમાં ઘણા જીલ્લાઓને રાહત મળશે.
