મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં દરવર્ષે દિવાળીની ઉજવણી ખાસ આકર્ષણ બની રહી છે. ત્યારે દીપોત્સવ ૨૦૨૫ ની ૯મી આવૃત્તિ ફરી એકવાર ઇતિહાસ રચવા માટે તૈયાર છે. પ્રભુ શ્રીરામના આગમનની ખુશીમાં રામ કી પૈડી સહિત 56 જેટલા ઘાટો પર એકસાથે 26 લાખ 11 હજાર 101 દિવડાઓ પ્રગટાવવામાં આવશે.
સરયૂ કિનારે 2100 વેદાચાર્યો દ્વારા મહાઆરતી અને મંત્રોચ્ચારથી અયોધ્યા એક અલગ જ ઉર્જાનો સંચાર કરશે. આવતીકાલે દિવાળીના તહેવાર પહેલા શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે.
પ્રવાસન અને સંસ્કૃતિ પ્રધાન જયવીર સિંહે જણાવ્યું હતું કે જ્યારે 2017 માં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની પ્રેરણાથી આ ઉજવણીની પહેલી વાર શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે અયોધ્યામાં આશરે 1.71 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.
આ દીપોત્સવ અયોધ્યામાં 26 લાખથી વધુ દીવા પ્રગટાવીને વિશ્વ વિક્રમ સ્થાપવા માટે તૈયાર છે. દીપોત્સવની પહેલી આવૃત્તિથી નવમી આવૃત્તિ સુધી દીવાઓની સંખ્યામાં લગભગ 15 ગણો વધારો થયો છે.
