દુનિયામાં આતંકી દેશ તરીકે બદનામ થયેલા પાકિસ્તાને બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન ને ‘આતંકી’ જાહેર કરતાં વિશ્વભરમાં ચકચાર મચી ગઈ છે. પાકિસ્તાન સરકારના આ આઘાતજનક પગલા પાછળનું કારણ સલમાન ખાન દ્વારા સાઉદી અરેબિયામાં તાજેતરમાં આપવામાં આવેલું એક નિવેદન છે.
પાકિસ્તાનના ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલી સત્તાવાર સૂચના અનુસાર, સલમાન ખાનને આતંકવાદ વિરોધી કાયદાની “ચોથી સૂચિ” હેઠળ મૂકવામાં આવ્યો છે. આ પગલાનો અર્થ છે કે સલમાન ખાન પાકિસ્તાનમાં કાનૂની કાર્યવાહીનો સામનો કરી શકે છે.
આ સમગ્ર વિવાદ સાઉદી અરેબિયામાં આયોજિત “જોય ફોરમ ૨૦૨૫” માં સલમાન ખાને આપેલા ભાષણ સાથે સંબંધિત છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં, સલમાન ખાનને એમ કહેતા સાંભળી શકાય છે કે “આ બલુચિસ્તાનના લોકો છે, અફઘાનિસ્તાનના લોકો છે, પાકિસ્તાનના લોકો છે, દરેક વ્યક્તિ સાઉદી અરેબિયામાં સખત મહેનત કરી રહ્યા છે.
સલમાન ખાને આ નિવેદનમાં બલુચિસ્તાનનો ઉલ્લેખ પાકિસ્તાનથી અલગ દેશ તરીકે કર્યો હોવાથી પાકિસ્તાન સરકાર ગુસ્સે થઈ ગઈ હતી.
પાકિસ્તાન સરકારે આ નિવેદનનો સખત વિરોધ કરતાં તેને તેની સાર્વભૌમત્વ પર હુમલો ગણાવ્યો છે. હાલમાં, આ સંવેદનશીલ બાબતે સલમાન ખાન કે તેમના પ્રતિનિધિઓ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
