અમદાવાદના અસારવા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને નેતાઓને જનતાના ભારે રોષનો સામનો કરવો પડ્યો છે. વિકાસના દાવાઓ સાથે પ્રચાર કરવા નીકળેલા નેતાઓને સ્થાનિકોએ સોસાયટીના ગેટ પર જ અટકાવી દીધા હતા અને શરમજનક સ્થિતિમાં મુકાઈને નેતાઓએ ત્યાંથી પરત ફરવું પડ્યું હતું.
અસારવા વિસ્તારના રહીશો લાંબા સમયથી પીવાના ગંદા પાણી અને ઉભરાતી ગટરોની સમસ્યાથી ત્રસ્ત છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. “જ્યારે કામ હતું ત્યારે કોઈ દેખાયું નહીં, તો હવે મતો માટે કેમ આવ્યા છો?” તેવા સવાલો સાથે મહિલાઓ અને યુવાનોએ ભાજપના કાફલાનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
પ્રચાર માટે ગયેલા ભાજપના ઉમેદવારો જ્યારે સોસાયટીમાં પ્રવેશવા જઈ રહ્યા હતા, ત્યારે રહીશોએ એકઠા થઈને સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. લોકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે જ્યાં સુધી ગટર અને પાણીની પ્રાથમિક સુવિધાઓનો ઉકેલ નહીં આવે, ત્યાં સુધી કોઈ પણ નેતાને સોસાયટીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. વિરોધ એટલો ઉગ્ર હતો કે ભાજપના કાર્યકરો અને નેતાઓને ત્યાંથી ભાગવાની ફરજ પડી હતી.
