અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવેલા દાન અને ચઢાવાની ચોરીના મામલામાં તપાસ સમિતિના અહેવાલ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આ કૌભાંડમાં અગાઉ સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા કેટલાક લોકો ટૂંકા સમયમાં જ કરોડો રૂપિયાની મિલકતના માલિક બની ગયા હોવાનો મોટો ધડાકો થયો છે. ડિજિટલ મીડિયાના અહેવાલો મુજબ ટિન્નુ યાદવ, મનીષ યાદવ, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા અને અવિનાશ શુક્લ જેવા આરોપીઓની નાણાકીય સ્થિતિમાં રાતોરાત આવેલા ઉછાળાએ તપાસ એજન્સીઓને ચોંકાવી દીધી છે.
રામશંકર યાદવ ઊર્ફે ટિન્નુ:
આ મામલામાં સૌથી વધુ ચર્ચિત નામ ટિન્નુ યાદવનું છે. અગાઉ અયોધ્યામાં ઓટો રિક્ષા ચલાવતો અને ડ્રાઈવર તરીકે કામ કરતો ટિન્નુ હવે લખનૌ અને અયોધ્યામાં અંદાજે ૫૦ કરોડ રૂપિયાની મિલકત ધરાવતો હોવાનો દાવો મીડિયા અહેવાલોમાં કરાયો છે. તેની પાસે એરપોર્ટ નજીક ૭૦ રૂમની હોસ્ટેલ, નાકા વિસ્તારમાં બે માળની હોસ્ટેલ, વૈભવી એસયુવી કાર અને ત્રણ જેટલી રેસ્ટોરન્ટમાં ભાગીદારી હોવાનું ખૂલ્યું છે. તપાસમાં સૌથી મોટી વાત એ સામે આવી છે કે રામલલાના દરબારમાં મુકાયેલી મુખ્ય દાનપેટીઓની ચાવીઓ ટિન્નુ પાસે જ રહેતી હતી.
મનીષ યાદવ:
મનીષ યાદવ એ મુખ્ય શંકાસ્પદ ટિન્નુ યાદવનો ભત્રીજો છે. મનીષ પણ તેના કાકાની જેમ મંદિરમાં આવતી રોકડ રકમની ગણતરી કરવાની પ્રક્રિયામાં સીધી રીતે જોડાયેલો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તપાસ એજન્સીઓની કાર્યવાહી દરમિયાન મનીષ પાસેથી ૩૬ લાખ રૂપિયાની શંકાસ્પદ રોકડ રકમ મળી આવી હતી.
અનુકલ્પ મિશ્રા:
દાનની ગણતરી કરતી ટીમના અગત્યના સભ્ય અનુકલ્પ મિશ્રા પર આવક કરતા વધુ સંપત્તિ એકઠી કરવાનો ગંભીર આરોપ છે. અહેવાલો મુજબ, અનુકલ્પે અયોધ્યાના કૌશલપુરી વિસ્તારમાં ૬૫ લાખ રૂપિયાનું આલીશાન મકાન અને પોતાના વતનમાં એક ભવ્ય ફાર્મહાઉસ બનાવ્યું છે. આ ઉપરાંત, ધાર્મિક કાર્યક્રમો અને કૌટુંબિક પ્રસંગોમાં તેના દ્વારા કરવામાં આવતા બેફામ ખર્ચા પણ તપાસ એજન્સીની નજરમાં આવી ગયા છે.
લવકુશ મિશ્રા:
લવકુશ મિશ્રા એ અનુકલ્પ મિશ્રાનો સાળો છે. ભૂતકાળમાં કાર મિકેનિક તરીકે કામ કરતા લવકુશનો મંદિરમાં દાન ગણવાની કામગીરી માટે માસિક પગાર માત્ર ૧૮ હજારથી ૨૦ હજાર રૂપિયા આસપાસ હતો. આમ છતાં તેણે ફૈઝાબાદમાં પોતાનું મોટું મકાન બનાવી લીધું હતું. અયોધ્યા પોલીસે જ્યારે તેના ઘરે દરોડા પાડ્યા ત્યારે તેના ઘરમાંથી કબાટ અને ગાયના છાણના ઢગલા નીચે છુપાવેલા અંદાજે ૧૦ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.
અવિનાશ શુક્લ:
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ફરિયાદના આધારે નોંધાયેલી પોલીસ ફરિયાદમાં અવિનાશ શુક્લને પણ નામજદ આરોપીઓમાંથી એક દર્શાવવામાં આવ્યો છે. અવિનાશ પણ દાનની રકમની ગણતરી અને તે નાણાંને બેંક સુધી પહોંચાડવાની પ્રક્રિયા સાથે સીધી રીતે જોડાયેલો હતો.
તપાસ સમિતિ દ્વારા આ તમામ આરોપીઓના બેંક ખાતા, નાણાકીય લેવડદેવડ અને સંપત્તિના દસ્તાવેજોની સઘન તપાસ કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની પૂરી શક્યતા છે.
