આજે બપોરે ૧:૩૦ વાગ્યાની આસપાસ વાવાઝોડુ ‘નિસર્ગ’ મહારાષ્ટ્રમાં ત્રાટકયુ હતું. મહારાષ્ટ્રના અનેક શહેરોમાં તોફાની પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે. ૧૦૦ કિ.મી.થી પણ વધુ ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. મુંબઈવાસીઓ માટે થોડા રાહતના સમાચાર મળે છે કે મુંબઈ શહેરમાં વાવાઝોડાની અસર તો થશે પરંતુ જાનહાની ઓછી સર્જાશે. આ વાવાઝોડાની અસરથી દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારો નવસારી, વલસાડ, સુરત, ભરૂચ તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, સોમનાથ, જૂનાગઢ જિલ્લામાં વધુ અસર કરશે .
જયારે સૌરાષ્ટ્રના અન્યત્ર સ્થળોએ છુટોછવાયો વરસાદ પડશે. જો કે કચ્છ અને પશ્ચિમ વિસ્તારોમાં આ વાવાઝોડાની કોઈ અસર જોવા મળશે નહિં. મહારાષ્ટ્રથી આગળ વધ્યા બાદ આ વાવાઝોડુ નબળુ પડતુ જશે. હીટ થયા બાદ ડિપ્રેશન અને બાદમાં ડિપડિપ્રેશનમાં ફેરવાશે ત્યારબાદ ઉત્તર – પૂર્વ દિશા તરફ આગળ વધશે. ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશમાં ૨૪ કલાક બાદ વરસાદ શરૂ થશે. દક્ષિણ પૂર્વ ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે. દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને ૨૪ કલાક બાદ ભોપાલમાં પણ વરસાદી માહોલ જોવા મળશે.
ગુજરાતમાં આ ‘નિસર્ગ’ વાવાઝોડાનું સંકટ ટળ્યુ છે, પણ ભારે વરસાદ પડવાની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
