અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતાં કોર્પોરેશનનું તંત્ર દ્વારા પાલડી, મણીનગર નારણપુરા ,નવરંગપુરા, થલતેજ બોડકદેવ ,જોધપુર અને એસજી હાઈવે પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વુમન્સ ડે ના કારણે ખાણીપીણી બજારમાં ભીડ એકઠી થતા સોશિયલ ડિસ્ટન્સ ના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. અને નિર્ધારિત સમય કરતા પહેલા જ હોટેલ અને રેસ્ટોરેન્ટને બંધ કરવી હતી.
અમદાવાદ શહેરમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. તેથી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આકરા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ અંતર્ગત હવે શહેરના પાલડી, નવરંગપુરા, નારણપુરા, મણીનગર, ગોતા, જોધપુર, થલતેજ અને સમગ્ર એસજી હાઈવે પર રોજ સાંજે ૭ વાગ્યા પછી હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજારો ફરજિયાત બંધ કરાવી દેવાનું નક્કી કરાયું છે. આ માટે હોટલ, રેસ્ટોરન્ટને જાણ કરી દેવામાં આવી છે. ઉપરાંત, ચાની કીટલીઓ પણ સાંજે બંધ કરવા માટે સૂચના અપાઈ છે. આમ, શહેરમાં કોરોનાના કેસોમાં થયેલા વધારાના પગલે સાંજે ૭ વાગ્યાથી અચોક્કસ મુદત માટે હોટલ-રેસ્ટોરન્ટ બંધ કરવા માટે નિર્ણય લેવાયો છે. આ દરમિયાન જો શહેરના અન્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધશે તો અન્ય વિસ્તારોમાં પણ હોટલ-રેસ્ટોરન્ટ બંધ કરાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 129 નવા કેસ સામે આવ્યા છે. જયારે એક વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું છે. જે સાથે અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 63,713 થયો છે. જ્યારે 60,665 દર્દી સ્વસ્થ્ય થયા છે.
