ભારત અને તાલિબાન વચ્ચે પ્રથમ ઔપચારિક વાતચીત મંગળવારે થઈ હતી. કતારમાં ભારતીય રાજદૂત દીપક મિત્તલે તાલિબાન નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનેકઝાઈ સાથે વાતચીત કરી હતી.

અબ્બાસ તાલિબાનની રાજકીય પાંખના વડા છે અને ભારત સાથે લાંબા સમયથી સંબંધ ધરાવે છે. આ બેઠક દોહા સ્થિત ભારતીય દૂતાવાસમાં થઈ હતી. આ માહિતી એક નિવેદનમાં આપવામાં આવી છે. શેર મોહમ્મદ ૧૯૮૦ માં ભારતમાં રહ્યા હતા. તેણે દહેરાદૂન સ્થિત મિલિટરી એકેડમીમાં તાલીમ લીધી છે. તે અફઘાન સૈન્યમાં હતો પરંતુ બાદમાં તેને છોડી દીધો અને તાલિબાન સાથે હાથ મિલાવ્યો હતો.
મીટિંગ દરમિયાન મિત્તલે અબ્બાસને કહ્યું કે ભારત અફઘાનિસ્તાનની જમીનનો આતંકવાદ માટે ઉપયોગ થવાના અહેવાલોથી ચિંતિત છે. ભારતની ચિંતાનો જવાબ આપતા અબ્બાસે ખાતરી આપી કે તાલિબાન સરકાર આ મામલાને અત્યંત ગંભીરતાથી જોશે.
ભારતે તાલિબાન નેતાઓને કહ્યું કે અમે અફઘાનિસ્તાનના લઘુમતીઓ માટે પણ ચિંતિત છીએ જે ભારતમાં આવવા માંગે છે. મિત્તલે અબ્બાસને એમ પણ કહ્યું હતું કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ભારત વિરોધી કોઈ પ્રવૃત્તિ કે આતંકવાદ માટે થવો જોઈએ નહીં.
“ભારતીય રાજદૂત મિત્તલે પણ તાલિબાન સામે ભારતની ચિંતા મૂકી હતી. ભારતે જણાવ્યું કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ભારત વિરોધી પ્રવૃત્તિઓ અને આતંકવાદ માટે કોઈ પણ સ્વરૂપે થવો જોઈએ નહીં. તાલિબાન પ્રતિનિધિએ ભારતીય રાજદૂતને ખાતરી પણ આપી હતી કે ભારતની તમામ ચિંતાઓ દૂર કરવામાં આવશે.
તાલિબાન અને ભારત વચ્ચેના સંબંધો કેવા રહેશે તે અંગે અટકળોનું બજાર ગરમ છે. પરંતુ બંને પક્ષોના તાજેતરના નિવેદનોથી કેટલીક બાબતો સ્પષ્ટ થઈ રહી છે. તાલિબાનનું નિવેદન પણ ભારત પ્રત્યે બહુ આક્રમક નથી અને ભારતે પણ તાલિબાનોને સીધા નિશાન બનાવ્યા નથી. તાલિબાનના નિવેદનોને જોતા એવું લાગે છે કે તાલિબાન જે 1996થી 2001ની વચ્ચે હતું તે 2021માં નવી લાઇન લેશે તેવું લાગે છે.
તાલિબાનના પ્રમુખ નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્ટનેકઝાઈએ તાજેતરમાં જ ભારતને વિસ્તારનો મહત્વપૂર્ણ દેશ ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે તાલિબાન ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે. સ્ટનેકઝાઈએ જણાવ્યું કે અમે ભારત સાથે વેપાર, આર્થિક અને રાજકીય સંબંધો જાળવી રાખવા માગીએ છીએ.
