અમદાવાદથી કેવડિયા વચ્ચે 1લી નવેમ્બર 2020થી શરૂ કરાયેલી સી પ્લેન સફર એપ્રિલ માસથી બંધ છે. જો કે હાલ કોરોના કેસ ઘટતા અમદાવાદથી કેવડીયા વચ્ચેની સી- પ્લેન સેવા દિવાળી પૂર્વે ફરી શરૂ કરવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે.
પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સી-પ્લેનને ફરીથી શરૂ કરવા માટે સપ્ટેમ્બર માસમાં બેઠક મળવાની શક્યતા છે. તેમજ આ સેવા વહેલામાં વહેલી તકે શરૂ કરવા માટે પણ બેઠકમાં રોડ મેપ નક્કી કરવામાં આવશે. જો કોરોનાની ત્રીજી લહેર નહીં આવે તો રાજ્યમાં ફરીથી દિવાળી સુધીમાં સી પ્લેનની સેવા શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
આ ઉપરાંત સાત ઓગષ્ટના રોજ ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની લિમિટેડ (GUJSAIL)ના અધિકારીઓએ ડીજીસીએની માર્ગદર્શિકા અનુસાર સાબરમતી અને કેવડીયા ખાતે વોટર એરોડ્રોમ કામગીરીના સલામતી અને સુરક્ષા ધોરણોની સમીક્ષા કરવા માટે ડીસીએ, જીએસડીએમએ, એએમસી અને એએઆઈના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી.
આ દરમ્યાન નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ઓપરેટ થયેલા સી પ્લેનના ભાડા પેટે રાજ્ય સરકારનો વાયાબિલીટી ગેપ ફંડિંગ (વીજીએફ)માંથી બાકી નીકળતા 47 લાખ રૂપિયાનો હિસ્સો ઝડપથી ચુકવી દેવા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખ્યો છે. જો કે આ અંગે એક અધિકારીએ જણાવ્યું છે કે આ અંગેના નાણાં ચૂકવી દેવામાં આવ્યા છે.
સિંધિયાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ભાવનગર, જામનગર, કંડલા, પોરબંદર, વડોદરા અને સુરત જેવા સ્થળોએ રાજ્યમાં ઉડ્ડયન માળખાના વિસ્તરણ માટે જરૂરી જમીન સંપાદનને ઝડપી બનાવવા જણાવ્યું હતું.
