સાર્વજનિક ગણેશ સ્થાપના માટેની પરમીટ સ્થાનીક પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવશે. તેમજ સ્થાપનાની જગ્યાએ લાઉડ સ્પીકર વગાડવા માટેની પરમીટ પણ જે-તે પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવશે.
સાર્વજનિક ગણેશ સ્થાપના માટેની પરમીટ મેળવવા માટે અરજી કરવામાં આવે તે જ વખતે અરજદારે ગણેશ વિસર્જન માટે સરઘસ કાઢવા માટેની અરજી પણ ફરજીયાત આપવાની રહેશે.
સરકારશ્રીના જાહેરનામાં મુજબ સાર્વજનિક ગણેશ મહોત્સવમાં મહત્તમ ૪ ફુટની તથા ઘરમાં ૨ ફુટની મૂર્તિઓની સ્થાપના કરી શકાશે. ગણેશ મહોત્સવ દરમ્યાન માટીની બનાવવામાં આવેલ ગણેશ મૂર્તિની સ્થાપના કરવાની રહેશે
સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પંડાલ/મંડપ શક્ય તેટલો નાનો રાખવાનો રહેશે. પંડાલ મંડપમાં સોશીયલ ડીસ્ટંન્સીંગ જળવાય તે હેતુથી યોગ્ય અંતરે ગોળ કુંડાળા કરીને દર્શનની વ્યવસ્થા કરવાની રહેશે. સાર્વજનિક ગણેશ ઉત્સવ સ્થળોએ માત્ર પુજા, આરતી અને પ્રસાદ વિતરણ કરી શકાશે. અન્ય કોઇ ધાર્મિક/સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાના રહેશે નહીં.
ગણેશ વિસર્જન સરઘસ કાઢવા માટે સરઘસનો રૂટ જો એક જ ઝોન વિસ્તારમાં હોય તો, જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ સ્થાપના થયેલ છે, તે પોલીસ સ્ટેશન દ્વારા સરઘસ કાઢવા માટેની પરમીટ આપવામાં આવશે. જો સરઘસના રૂટનો સમાવેશ એક ઝોન કરતા વધારે વિસ્તારમાંથી પસાર થતો હોય તો સરઘસ અંગેની પરમીટ પોલીસ કમિશનરશ્રીની કચેરી, વિશેષ શાખા તરફથી આપવામાં આવશે.
સાર્વજનિક ગણેશ સ્થાપનાની તથા વિસર્જનની પરમીટ મેળવવા માટે આયોજક તથા વિસર્જન સરઘસમાં જોડાનાર વ્યક્તિઓના (વધુમાં વધુ-૧૫) નામ-સરનામા આપવાના રહેશે. તથા સરઘસનો રૂટ અને મૂર્તિ વિસર્જનના સ્થળની વિગત આપવાની રહેશે. સરકારના જાહેરનામા મુજબ ગણપતિ સ્થાપન/વિસર્જન માટે વધુમાં વધુ ૧૫ વ્યકિતની મર્યાદામાં ફકત એક વાહન મારફતે સ્થાપન/વિસર્જન કરી શકાશે. ગણેશ મૂર્તિ વિસર્જન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ નજીકના કૃત્રિમ વિસર્જન કુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે.
ઘર પર સ્થાપન કરવામાં આવેલ ગણેશજીનું વિસર્જન ઘરે જ કરવામાં આવે તે વધારે હિતાવહ રહેશે.
ગણેશ મહોત્સવ દરમ્યાન તમામ આયોજકો તથા શ્રદ્ધાળુઓએ કોવિડ-૧૯ અંગે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ તમામ ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે.
