કોરોના વાયરસના સંક્રમણની ગંભીર સ્થિતિ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે સામાન્ય બજેટ રજૂ કર્યુ છે. બજેટ પ્રવચન દરમિયાન તેમણે નોકરી, ઘર, ખેડૂત, સંરક્ષણ, વ્યાપાર અને ક્રિપ્ટો સહિત અનેક બાબતો માટે મોટા મોટા એલાનો કર્યા છે. તેમણે આ બજેટને આવતા ૨૫ વર્ષનું બ્લુ પ્રિન્ટ ગણાવ્યુ છે. ૨૦૧૯માં નાણામંત્રી પદ સંભાળ્યા બાદ તેમણે ચોથી વખત બજેટ રજૂ કર્યુ છે. બજેટમાં તેમણે ઈન્કમટેક્ષના મામલે કોઈ છૂટછાટ નહી આપતા મધ્યમ વર્ગ નિરાશ થયો છે. મધ્યમ વર્ગને ઘણી બધી આશાઓ હતી પરંતુ તેની આશાઓ ઉપર પાણી ફરી વળ્યુ છે. નાણામંત્રીએ ક્રિપ્ટો કરન્સીથી થનારી આવક પર ૩૦ ટકા ટેકસ લાગશે આ સિવાય વર્ચ્યુઅલ કરન્સી પર એક ટકો ટીડીએસ લાગશે તેવી પણ જાહેરાત કરી હતી. નાણામંત્રીએ કોર્પોરેટ ટેકસને ૧૮ ટકાથી ઘટાડી ૧૫ ટકા કરવાનો પ્રસ્તાવ કર્યો છે. સાથોસાથ સરચાર્જને ૧૨ ટકાથી ઘટાડી ૭ ટકા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમણે કરેલી જાહેરાતોથી ચામડાનો સામાન સસ્તો થશે અને કપડા પણ સસ્તા થશે જ્યારે મોબાઈલ ચાર્જર, ખેતીનો સામાન, પોલીશ્ડ હીરા સસ્તા થશે.
નિર્મલા સીતારમણે ચૂંટણી વખતે બજેટ રજૂ કર્યુ છે તો મધ્યમ વર્ગના લોકોને બજેટથી મોંઘવારી, ટેકસથી છૂટ અને બેરોજગારીને લઈને મોટા એલાનોની આશા હતી પરંતુ મોંઘવારી અને ટેકસ છૂટ પર કોઈ મોટુ એલાન નથી થયુ. જો કે રોજગારીને લઈને નાણામંત્રીએ કહ્યુ હતુ કે આપણી પાસે ૬૦ લાખ વધારાની નોકરીઓ આપવાની ક્ષમતા છે. સરકારે ડીઝીટલ કરન્સી શરૂ કરવાનું નક્કી કર્યુ છે તેવુ તેમણે જણાવ્યુ હતુ. સરકાર આ વર્ષે જ ૫-જી સેવા શરૂ કરશે તેવી જાહેરાત કરી હતી. ગામેગામ કનેકટીવીટીને પ્રોત્સાહન આપવા પણ તેમણે જાહેરાત કરી હતી.
તેમણે કરદાતાઓને થોડી રાહત આપતા આઈટીઆર ફાઈલ કરવામાં વધુ બે વર્ષની રાહત આપી છે. ભૂલ જણાય તો બે વર્ષ સુધી ટેકસ ચૂકવીને સુધારેલુ રીટર્ન ભરી શકાશે. તેમણે ૮૦સી કે ટેકસ સ્લેબમાં કોઈ રાહત આપી નથી.
નાણામંત્રીએ જે જાહેરાતો કરી છે તે અનુસાર કટ અને પોલીશ્ડ હીરા તથા રત્નો પર કસ્ટમ ડયુટીને ઘટાડીને ૫ ટકા કરી છે. કો-ઓપરેટીવ સરચાર્જ ૧૨ ટકાથી ઘટાડીને ૭ ટકા કરવાની જાહેરાત કરી છે. ઈલેક્ટ્રોનીકસ ઉત્પાદનને આગળ વધારવા માટે ઈલેક્ટ્રોનીકસ વસ્તુઓના ઉચ્ચ વિકાસ માટે ડયુટીમાં રાહત આપી છે.
નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે દિવ્યાંગના માતા-પિતાઓને ટેકસમાં છૂટ આપવામાં આવશે. એટલુ જ નહી સરકારી કર્મચારીઓના પેન્શનમાં ટેકસ પર છૂટ આપવાની પણ તેમણે જાહેરાત કરી હતી.
નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં નાણાકીય ખાધને ૬.૪ ટકા સુધી કરવાનો પ્રસ્તાવ છે. નાણાકીય વર્ષ ૨૦૨૩માં કુલ ૩૯.૪૫ લાખ કરોડ રૂપિયાના ખર્ચ અને ઉધારી સિવાય કુલ આવક ૨૨.૮૪ લાખ કરોડ રૂપિયા થવાનુ અનુમાન છે.
નાણામંત્રીએ રાજ્ય સરકારના કર્મચારીઓને એનપીએસમાં ૧૪ ટકા સુધી ફાળો આપવાની છૂટ જાહેર કરી છે. અત્યાર સુધી ૧૦ ટકા યોગદાન હતુ.
રીઝર્વ બેન્ક ચાલુ વર્ષે જ ડીઝીટલ રૂપિયો જાહેર કરશે. તેમણે જણાવ્યુ હતુ કે સેઝની જગ્યાએ નવો કાનૂન આવશે. દેશના ગ્રામીણ અને દૂર દૂરના વિસ્તારો માટે બેન્ક અને મોબાઈલ આધારીત સુવિધાઓ માટે એક સર્વિસ એલોકેશન ફંડ ઉપલબ્ધ કરાવાશે. એક રાષ્ટ્ર એક રજીસ્ટ્રેશન પોલીસી લાવવામાં આવશે. સ્ટાર્ટઅપ માટે વર્તમાન ટેકસ લાભ જેમણે સતત ૩ વર્ષ માટે ટેકસ ભર્યો હોય તેઓને વધુ એક વર્ષ લાભ મળશે.
શું સસ્તુ થશે ?
– ચામડુ – કપડા – ખેતીનો સામાન – પેકેજીંગ ડબ્બા – પોલીશ્ડ ડાયમંડ – વિદેશી છત્રી – મોબાઈલ ફોન – ચાર્જર – જેમ્સ-જ્વેલરી જેના પર કસ્ટમ ડયુટી ઘટાડીને ૫ ટકા કરાઈ છે
શું મોંઘુ થશે ?
– કેપીટલ ગુડઝ પર આયાત ડયુટીમાં છૂટને સમાપ્ત કરતા ૭.૫ ટકા આયાત ડયુટી લાદી દેવાઈ – ઇમીટેશન જ્વેલરી – છત્રી – બ્લેન્ડીંગ વગરનું ફયુઅલ
૪ મોટી ચૂંટણી જાહેરાતો
* ૫ વર્ષમાં ૬૦ લાખ નોકરી
* ૧ વર્ષમાં ૮૦ લાખ આવાસ
* ૨.૩૭ લાખ કરોડની એમએસપી સીધા ખાતામાં જશે
* રાજ્ય સરકારના કર્મચારીઓ એનપીએસમાં ૧૪ ટકા ફાળો આપી શકશે
૪ મોટી સુવિધા
* એમ્બેડેડ ચિપવાળા ઈ-પાસપોર્ટ
* ૫-જી મોબાઈલ સેવા શરૂ થશે
* આરબીઆઈ ડીજીટલ રૂપિયો જારી કરશે
* દોઢ લાખ ડાક ઘર કોર બેન્કીંગ સાથે જોડાશેણૂ૫”
