અમદાવાદમાં મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ઠગાઈની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જમીન વેચાણમાં ઠગાઈ મામલે ક્રાઈમ બ્રાંચ દ્વારા આ ફરીયાદ નોંધવામાં આવી છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં જમીન વેચી દસ્તાવેજ ન બનાવી 80 લાખ રુપિયા પડાવ્યા હોવાના મામલો સામે આવ્યો છે. 2017માં જમીન વેચાણ કર્યા બાદ દસ્તાવેજ ન કર્યાનું પણ સામે આવ્યું છે. જો કે, ત્યાં પણ પીએમઓ અધિકારી તરીતે ઓળખ આપી હોવાનું જાણવા મળે છે. જેથી આ મામલે પણ ફરિયાદને આધારે મહાઠગ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
શ્રીનગરમાં નકલી પીએમઓ ઓફિસર તરીકે ઝડપાયેલા કિરણ પટેલની એક પછી એક મુશ્કેલીઓ વધી રહી છે. ગુજરાતમાં છેતરપિંડીના અનેક કેસો સામે આવતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દાખલ કરવામાં આવી રહ્યા છે. નવી એફઆઈઆરમાં પટેલની ટૂંક સમયમાં પૂછપરછ થવાની અપેક્ષા છે. જેથી આ મામલે પણ કાર્યવાહી થઈ શકે છે. ફરીયાદના અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
ઠગ પોતાને PMOનો એડિશનલ સેક્રેટરી ગણાવીને સરકારની તમામ સુવિધાઓ લઈ રહ્યો હતો આ સાથે છેતરપિંડી પણ પોતાની આ ઓળખ આપીને વધુ કરી રહ્યો હતો. લોકો પણ તેના વિશ્વાસમાં આવીને ભોળવાઈ જતા હતા. જેથી કિરણ પટેલ મામલે વધુ ઠગાઈની ફરીયાદો નોંધાય તો નવાઈ નહીં. સમગ્ર છેતરપિંડીના ેક પછી એક કેસો સામે આવી રહ્યા છે. જો કે, તે ઘણા સમયથી ન્યાયિક કસ્ટડીમાં છે. જેથી તમામ કેસો મામલે કિરણ પટેલ મહાઠગ સામે કાનૂની કાર્યવાહી પણ તેજ બની રહી છે.
