હવામાન વિભાગની આગાહી અનુસાર ભર ઉનાળે માવઠાની શક્યતા છે. આગામી 4 દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 મે સુધી રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતા છે. રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પગલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તેમજ 40 થી 60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આજે અને આવતી કાલે કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે કરા પડવાની શક્યતા છે. 7 અને 8 મે દરમિયાન કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગેની આગાહી છે કે, 8 મે સુધી વરસાદી સિસ્ટમની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે તેમ જણાવ્યું છે. બે દિવસ 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને બે દિવસ બાદ એટલે કે 7 અને 8 મેના રોજ પવનની ગતિ વધીને 70થી 80 કિલોમીટરની ઝડપે પવન અને ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે.
5 તારીખે માવઠાની તીવ્રતા વધશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં અતિ તીવ્ર માવઠું થઈ શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, કચ્છ અને સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જૂનાગઢના અમુક ભાગો, બોટાદ અને અમરેલીના કેટલાક વિસ્તારોમાં 5 તારીખે ગાજવીજ અને તીવ્રતાની સાથે વરસાદ પડશે.
ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી,મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર,ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દીવ, દમણ,દાદરાનગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી સહિતના જિલ્લાઓમાં માવઠું થવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ,પંચમહાલ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા,સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી,જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં શનિવારની રાતે અને રવિવારે સવારે ભારે પવન, ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે ગુજરાતમાં ક્યાં અને કેવો વરસાદ થશે તે અંગેની આગાહી આપી છે. આ સાથે વંટોળ, કરા પડવાની પણ શક્યતા દર્શાવી છે.
