પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ફિટ ઇન્ડિયા ચળવળને આગળ ધપાવવા અમદાવાદમાં ‘Sunday on Cycles’ અભિયાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કોમનવેલ્થ ગેમ્સની થીમ પર યોજાયેલા આ મહાકુંભનું નેતૃત્વ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ કર્યું હતું. તેમની સાથે ગુજરાતના ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ પણ સાયકલ ચલાવીને નાગરિકોને ફિટનેસનો સંદેશ આપ્યો હતો.
ડિસેમ્બર 2024માં દેશભરમાં શરૂ થયેલી આ સાયકલિંગ ચળવળે હવે રાષ્ટ્રવ્યાપી ચળવળનું સ્વરૂપ લીધું છે. ડૉ. માંડવિયાએ જણાવ્યું કે ‘Sundays on Cycle’ એ યુવાનોની માનસિકતા બદલી છે અને ફિટનેસ હવે વ્યક્તિગત પ્રવૃત્તિ ન રહેતા સામૂહિક ઉજવણી બની છે. આ અભિયાન દ્વારા સ્વસ્થ જીવનશૈલી, સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ ફેલાવાઈ રહ્યો છે.
આ ઇવેન્ટમાં યુવાનોને પ્રેરિત કરવા માટે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા આયુષ્માન ખુરાના ઉપરાંત દેશનું ગૌરવ વધારનારા ઓલિમ્પિક અને કોમનવેલ્થ મેડલ વિજેતા ખેલાડીઓ પણ સાયકલ ટ્રેક પર ઉતર્યા હતા. જેમાં ભારતીય મહિલા હોકી ટીમની દિગ્ગજ ખેલાડીઓ ગુરજીત કૌર, રજની એતિમારપુ અને સોનિકા ટાન્ડી, જાણીતા શૂટર્સ અંકુર મિત્તલ અને અંજુમ મુદગિલ તેમજ બેડમિન્ટન સ્ટાર તૃપ્તિ મુરગુન્ડેનો સમાવેશ થાય છે. 
ડૉ. માંડવિયાએ કહ્યું કે “આપણે આ આધુનિક પેઢીમાં સાયકલ ચલાવવાનો ટ્રેન્ડ બનાવવો પડશે. ફિટનેસ અને સ્વચ્છતા સાથે સાથે ચાલે છે. નાના કે મોટા, દરેક વ્યક્તિએ વિકસિત ભારત માટે પોતાનું યોગદાન આપવું જોઈએ.”દેશભરમાં 6,000થી વધુ સ્થળોએ એકસાથે આયોજિત આ ડ્રાઇવમાં સ્વચ્છતા સેનાની, પોલીસ, NYKS, NSS, MYBharatના સ્વયંસેવકો પણ જોડાયા હતા.
