રાજય સરકાર ટૂંક સમયમાં જ દેશના યુપી અને મધ્યપ્રદેશની જેમ અલગથી લવ જેહાદ કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. જે અંતર્ગત એવા વ્યકિતઓ જેઓ લગ્ન અથવા પ્રેમના નામે સામેના પાત્રને દબાણ કરીને ધર્મ પરિવર્તન માટે પ્રયાસ કરે છે તેમના વિરુદ્ઘ કાયદેસર કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવશે.
ગુજરાતમાં ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન એકટ ૨૦૦૩ અંતર્ગત દબાણ, લાલચ કે પછી છેતરપીંડી દ્વારા કોઈ વ્યકિતનું ધર્મ પરિવર્તન કરાવવું કાયદા હેઠ પ્રતિબંધિત છે. જોકે રાજય સરકારે હવે નવા કાયદાને લાવીને લવ જેહાદ મામલે કાયદેસર પગલા ભરવા માગે છે અથવા તો તાજેતરમાં રહેલા કાયદામાં લવ જેહાદનો દ્રષ્ટિકોણ ઉમેરીને તેને વધુ મજબૂત કરવા માગે છે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.
રાજય સરકારે આ મામલે જુદા જુદા વિભાગો જેમ કે ગૃહ વિભાગ, કાયદા વિભાગ અને વિધાનસભા બાબતોના વિભાગને યુપી અને મધ્ય પ્રદેશની સરકારો દ્વારા લાગુ કરવામાં આવેલ લવ જેહાદ વિરોધી કાયદાનો અભ્યાસ કરવા અને તેની કાયદેસરતા તપાસવા માટે જણાવ્યું છે. નવો કાયદો વિધાનસભામાં પસાર થાય તે પહેલા રાજય સરકાર ઓર્ડિનન્સ એટલે કે અધ્યાદેશ દ્વારા આ કાયદાને લાગુ કરવા અંગે પણ વિચારી રહી છે.
મહત્વનું છે કે ૨૦૦૩ના કાયદા મુજબ નાગરિક ધર્મ પરિવર્તન માટે પહેલા જિલ્લા ઓથોરિટી પાસે અરજી કરીને મંજૂરી માગી શકે છે. આ કાયદા અંતર્ગત જો કોઈ પણ વ્યકિત દબાણ હેઠળ ધર્મ પરિવર્તન કરાવતો જણાય તો તેને ૩ વર્ષની જેલ અને રુ. ૫૦,૦૦૦ સુધીનો દંડ થઈ શકે છે.
