અમદાવાદ શહેરના સૈજપુર બોઘા વિસ્તારમાં નરોડા રોડ પર આવેલી ચૌધરી હોસ્પિટલની બેદરકારીથી મહિલાનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવી હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે ડોક્ટરોએ રાત્રે બ્લડ ચઢાવવું પડશે એવું કહ્યું હતું અને વહેલી સવારે તેમનું મોત થયું હતું. હોસ્પિટલમાં ડોક્ટર પાસે રિપોર્ટ માંગતા તેમના દ્વારા અમને કોઈ રિપોર્ટ આપવામાં આવ્યા નથી. પોલીસને રિપોર્ટ આપશે એવો જવાબ આપ્યો હતો. હોસ્પિટલમાં હોબાળો થતાં પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી.
શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ભાર્ગવ રોડ પર આવેલી સંત કોલોનીમાં રહેતા શ્યામવીર દિવાકરે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે મારા ભાભી મંજુદેવી (આશરે ઉ.વ.45)ની તબિયત ખરાબ થતાં સારવાર માટે નરોડા રોડ પર આવેલી ચૌધરી હોસ્પિટલમાં લઈ ગયા હતા. રાત્રે હોસ્પિટલમાં તેઓને ડોક્ટરે બ્લડ ચઢાવવાનું કહ્યું હતું અને અન્ય ડોક્ટરે ઇન્જેકશન લગાવવા માટે કહ્યું હતું. અમે લોહીનો રિપોર્ટ માંગ્યો તો અમને રિપોર્ટ આપ્યો નહીં અને જેમતેમ કરીને કોઈ સારવાર કરી હતી અને વહેલી સવારે તેમનું મૃત્યુ થયું હતું.
તો બીજી તરફ ડોક્ટરો હાર્ટએટેકથી મૃત્યુ થયું હોવાનું રટણ કરતાં હતા. જો કે રિપોર્ટ માંગતા ડોક્ટરોએ મનાઇ કરી હતી. અને પોલીસને રિપોર્ટ સોંપશે તેવી વાત કહી હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.
