આગામી શૈક્ષણિક વર્ષથી ધોરણ ૧માં તેવા જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે જેમની ઉંમર ૧ જૂન ૨૦૨૩ના રોજ ઓછામાં ઓછી છ વર્ષની હશે. જો તેમા એક દિવસ પણ ખૂટતો હશે તો વાલીઓએ તેમના બાળકોને પહેલા ધોરણમાં બેસાડવા માટે એક વર્ષ સુધી રાહ જોવી પડશે. ધોરણ ૧ માટે છ વર્ષની ઉંમર નક્કી કરાયા બાદ તેમા કેટલાક દિવસની છુટછાટ આપી શકાય તે અંગે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા હજી સુધી કોઈ નિર્ણય ન લેવાયો હોવાથી શાળાના સંચાલકો પણ મૂંઝવણમાં મૂકાયા છે અને છ વર્ષમાં એક દિવસ પણ ખૂટતો હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું ટાળી રહ્યા છે.
અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ પણ આવી ઘણી રજૂઆતો આવી છે. પહેલા ધોરણ માટે છ વર્ષની ઉંમર જરૂરી હોવાનો નિર્ણય આમ તો ૨૦૨૦માં જ લેવાયો હતો પરંતુ તેનો અમલ ૧ જૂનથી શરૂ થતાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪થી કરવામાં આવશે.
સ્થાનિક અખબાર નવગુજરાત સમયે સૂત્રોના આધારે આપેલી માહિતી પ્રમાણે, આ નિર્ણયના કારણે ધોરણ ૧માં પ્રવેશ માટે અનેક વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડે તેવી શક્યતા છે. છ વર્ષની ઉંમર તો શિક્ષણ વિભાગે નક્કી કરી લીધી પરંતુ તેમા હજી છૂટછાટની જાહેરાત કરી નથી.
જેના કારણે સ્કૂલોને ૧ જૂન, ૨૦૨૩ના રોજ છ વર્ષ પૂરા ન થયા હોય તેમને પ્રવેશ આપવાનો ઈનકાર કર્યો છે. તેથી, જેમને છ વર્ષમાં એક-બે દિવસ ખૂટતાં હોય તેમને પણ પ્રવેશ મળી રહ્યો નથી.
