સંભવિત વાવાઝોડા અંગે બચાવની પૂર્વતૈયારી કરવા અંગે જિલ્લા કલેકટરશ્રી દ્વારા આદેશ આપવામાં આવ્યા
—
વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન તથા વાવાઝોડા બાદ શું કરવું અને શું ન કરવું તે અંગેની માર્ગદર્શિકા અનુસરવી
—
) સંભવિત વાવાઝોડા અંગે બચાવની પૂર્વતૈયારી કરવા અંગે જિલ્લા કલેકટરશ્રી દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. ભારતીય હવામાન વિભાગના તા.૦૮ જુન, ૨૦૨૩ના બુલેટીન અનુસાર દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં તીવ્ર વાવાઝોડું ઉદભવ્યું છે. જિલ્લામાં સાવચેતી અને સલામતીનાં પૂર્વ ઉપાયનાં પગલાં સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન તથા વાવાઝોડા બાદ શું કરવું અને શું ન કરવું તે અંગે નિયત માર્ગદર્શિકા છે તે અનુસરવાની રહે છે. સંભવિત વાવાઝોડા તથા ભારે વરસાદને કારણે ઉદભવી શકે તેવી વિષમ પરિસ્થિતિની શકયતાઓ ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લામાં સાવચેતી માટેના જરુરી અને યોગ્ય પગલાં લેવા તથા તે માટે જરુરી પૂર્વ આયોજન જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. ભયજનક મકાનો, કાચા મકાનો, છાપરાં અને નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સમયસર ચેતવણી મળે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની તાલુકા સ્તરેથી યાદી બનાવીને હાથવગી રાખવામાં આવશે. સલામત આશ્રયસ્થાનોની ઓળખ કરવી તેમજ આશ્રયસ્થાનોમાં પાણી, વીજળી, સેનિટેશન વગેરે આનુષાંગિક વસ્તુઓ સહિત તમામ પ્રાથમિક સુવિધાઓ વ્યવસ્થા કરવી. જરુરિયાતનાં કિસ્સામાં લોકોને સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરવી. તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ આવેલ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ૨૪*૭ કાર્યરત રહેશે. અનાજ, પાણી, દવાઓ, ઇંધણ તેમજ અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો ઉપલબ્ધ રહેશે.
તાકીદની પરિસ્થિતિમાં વીજ પુરવઠો, પાણી પુરવઠો, રોડ વગેરે આવશ્યક સેવાઓ ઓછામાં ઓછી ખોરવાઈ તેમજ ઝડપથી મેઇનટેનન્સ તથા પુન: સ્થાપન માટે ટીમો તૈયાર રાખવામાં આવશે. પશુઓની સલામતી માટે નજીકની ગૌશાળા/પાંજરાપોળ વગેરે વ્યવસ્થા સુનિશ્ચિત કરવી. સ્થાનિક તરવૈયાઓની યાદી તેમનાં સંપર્ક નંબર સાથે તૈયાર રાખવામાં આવશે. જરુર જણાયે ફુડ પેકેટ તથા પાણીની વ્યવસ્થા માટે આયોજન કરવા સૂચના આપવામાં આવી છે. હોસ્પિટલમાં જરુરી દવાઓ, મેડીકલ/પેરા મેડીકલ સ્ટાફની ઉપલબ્ધિ અંગેનું આયોજન કરવું. APMC માં ખુલ્લામાં હોય તે જણશનાં જથ્થાને નુકશાન ન થાય તેમજ જિલ્લાની સરકારી મંડળીઓનાં ગોડાઉનમાં રહેલ જથ્થાને નુકશાન ન થાય તે અંગે જરુરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે. સરકાર દ્વારા વખતોવખત આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન થાય તે મહત્વની બાબત છે. અધિકારીશ્રીઓને – કર્મચારીશ્રીઓને હેડ કવાર્ટર ન છોડવા જિલ્લા કલેકટરશ્રીએ આદેશ કરી સૂચના આપી છે.