ગત રોજ દશામની મૂર્તિ વિસર્જન કરવા જતાં પાણીમાં ડૂબી જતાં 3 લોકોના દુઃખદ મૃત્યુ થયાં છે. હાલ પોલીસ દ્વારા ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ગઈકાલે દશામાના વ્રતનો છેલ્લો દિવસ હોવાથી ઠેર-ઠેર ભક્તો માતાજીની મૂર્તિ પધારવવા માટે ગયા હતા. આ દરમિયાન ગાંધીનગરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.
ગાંધીનગરમાં સેક્ટર 30 પાસે સાબરમતી નદીમાં એક પરિવાર માતાજીની મૂર્તિ પધરાવવા માટે ગયો હતો. આ દરમિયાન સાબરમતી નદીમાં મૂર્તિ પધરાવવા જતાં બેલેન્સ બગડતા એક વ્યક્તિ પાણીમાં ડૂબી હતી, જે બાદ એક બીજાને બચાવવા જતા પાંચ લોકો પાણીમાં ડૂબ્યા હતા. જેમાંથી 2 લોકોને ત્યાં કામ કરતા સ્થાનિકોએ બચાવી લીધા છે. અન્ય ત્રણ લોકો પાણીમાં ગરકાવ થયા હતા.
આ અંગેની જાણ મનપા ફાયર વિભાગ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ડૂબેલા લોકોની શોધખોળ શરૂ કરી હતી. જેમાં શોધખોળ બાદ અજયભાઈ વણજારા (ઉં.વ 30), ભારતીબેન પ્રજાપતિ (ઉં.વ 34), પૂનમબેન પ્રજાપતિ (ઉં.વ 12)ના મૃતદેહ મળી આવ્યા હતા.
