ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા સંગઠનાત્મક માળખાને વેગ આપવા માટે વિવિધ પ્રદેશ મોરચાઓના પ્રભારીઓની મહત્વની નિમણૂંક કરવામાં આવી છે. ૨ માર્ચ, ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલી આ યાદી મુજબ તમામ નિયુક્ત પદાધિકારીઓની જવાબદારી તાત્કાલિક અસરથી લાગુ પડશે.
વિવિધ મોરચાના નવા નિમાયેલા પ્રભારીઓની વિગત:
પ્રદેશ ભાજપ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર પત્ર મુજબ, જુનાગઢ જીલ્લાના કિરીટભાઈ પટેલને યુવા મોરચાના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. વડોદરા શહેરના શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટને મહિલા મોરચાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. પાટણના નટુજી ઠાકોરને ઓબીસી મોરચાના પ્રભારી અને સાબરકાંઠાના હિતેશભાઈ પટેલને એસ.સી. મોરચાના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, છોટાઉદેપુરના શ્રીમતી ગીતાબેન રાઠવાને એસ.ટી. મોરચાની જવાબદારી સોંપાઈ છે. અમદાવાદ જીલ્લાના ભરતભાઈ પંડ્યાને કિસાન મોરચાના પ્રભારી અને વડોદરા જીલ્લાના રસિકભાઈ પ્રજાપતિને લઘુમતી મોરચાના પ્રભારી તરીકેની નિમણૂંક અપાઈ છે.
વરિષ્ઠ નેતૃત્વ અને સંગઠનને કરાઈ જાણ:
આ સંગઠનાત્મક નિમણૂંકો અંગેની જાણ નકલ રવાના કરીને પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરભાઈ, પ્રદેશ મહામંત્રીઓ અનિરૂધ્ધભાઈ દવે, અજયભાઈ બ્રહ્મભટ્ટ અને હિતેન્દ્રસિંહ ચૌહાણને પણ આ અંગે માહિતગાર કરાયા છે.
આ સમગ્ર પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડૉ. પ્રશાંત કોરાટ દ્વારા કરવામાં આવી છે.
