July 22, 2026
દેશરાજકારણ

બિહારની રાજનીતિમાં મોટી ઉથલ પાથલ,નીતિશ કુમારે મુખ્યમંત્રી તરીકે આપ્યું રાજીનામુ

બિહારના રાજકારણમાં છેલ્લા ૨૪ કલાકથી ચાલી રહેલી અટકળોનો આજે અંત આવ્‍યો છે. મુખ્‍યમંત્રી નીતિશ કુમારે કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વિશેષ હાજરીમાં રાજ્‍યસભા માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ૧૦ વખત મુખ્‍યમંત્રી તરીકે શપથ લેવાનો અનોખો વિક્રમ ધરાવતા નીતિશ કુમારે હવે રાજ્‍યના સક્રિય રાજકારણમાંથી વિદાય લઈને સંસદના ઉપલા ગૃહમાં જવાનો નિર્ણય કર્યો છે. પટના વિધાનસભા પરિસરમાં જ્‍યારે તેઓ ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્‍યા, ત્‍યારે તેમની સાથે ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ નિતિન નવીન પણ હાજર રહ્યા હતા.

બિહારના રાજકારણમાં દાયકાઓથી જેનો દબદબો રહ્યો છે તેવા સુશાસન બાબુ એટલે કે નીતિશ કુમારે આજે સત્તાવાર રીતે રાજ્‍યસભા માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે. પટનામાં વિધાનસભા ખાતે અમિત શાહની હાજરીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ નિર્ણય સાથે જ બિહારમાં નીતિશ યુગના અંત અને એક નવા રાજકીય પ્રકરણની શરૂઆતની અટકળો તેજ બની છે.

નીતિશ કુમારના આ મોટા નિર્ણય બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે બિહારની ગાદી પર કોણ બેસશે? સૂત્રોના જણાવ્‍યા અનુસાર, બિહારમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીનો મુખ્‍યમંત્રી બની શકે છે. હાલમાં નાયબ મુખ્‍યમંત્રી સમ્રાટ ચૌધરી અને કેન્‍દ્રીય મંત્રી નિત્‍યાનંદ રાયના નામો રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે. ભાજપ હાઈકમાન્‍ડ ટૂંક સમયમાં નવા નેતાના નામની જાહેરાત કરી શકે છે, જે રાજ્‍યમાં પક્ષનું નેતળત્‍વ કરશે.

નીતિશ કુમારના આ પગલાથી બિહારમાં સત્તાના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. એવું માનવામાં આવે છે કે ભાજપ હવે બિહારમાં પોતાનો પ્રથમ મુખ્‍યમંત્રી બનાવવા માટે મક્કમ છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, નાયબ મુખ્‍યમંત્રી સમ્રાટ ચૌધરી મુખ્‍યમંત્રી પદની રેસમાં સૌથી આગળ છે. ભાજપ આ વખતે પછાત વર્ગના ચહેરાને આગળ ધરીને આગામી ચૂંટણીઓ માટે મજબૂત પકડ બનાવવા માંગે છે. નીતિશ કુમારે પોતે જ સોશિયલ મીડિયા પર સંકેત આપ્‍યો છે કે નવી બનનારી સરકારને તેમનું પૂરું માર્ગદર્શન મળતું રહેશે.

આ રાજકીય ઉથલપાથલ વચ્‍ચે નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારની એન્‍ટ્રી સૌથી વધુ ચર્ચામાં છે. લાંબા સમય સુધી રાજકારણથી દૂર રહેલા નિશાંત કુમાર આજે વિધિવત રીતે જેડીયુમાં જોડાયા છે. રાજકીય વર્તુળોમાં એવી પ્રબળ ચર્ચા છે કે તેમને નવી સરકારમાં નાયબ મુખ્‍યમંત્રીનું પદ સોંપવામાં આવી શકે છે. આ પગલાને જેડીયુના ભવિષ્‍ય અને પક્ષમાં નીતિશ કુમારના વારસદાર તરીકે જોવામાં આવી રહ્યો છે. નીતિશ કુમારના દિલ્‍હી પ્રયાણ બાદ પક્ષની કમાન કોણ સંભાળશે, તે પ્રશ્‍નનો જવાબ નિશાંતની એન્‍ટ્રીથી મળી રહ્યો હોય તેવું લાગે છે.

નીતિશ કુમારે આ નિર્ણય અંગે સ્‍પષ્ટતા કરતા જણાવ્‍યું કે, તેમને હંમેશાથી સંસદ અને વિધાનસભાના બંને ગળહો (લોકસભા, રાજ્‍યસભા, વિધાનસભા અને વિધાનપરિષદ) ના સભ્‍ય બનવાની ઈચ્‍છા હતી, જે હવે પૂર્ણ થવા જઈ રહી છે. વિપક્ષી ગઠબંધન આ ઘટનાક્રમને બિહારની જનતા સાથેનો વિશ્વાસઘાત ગણાવી રહ્યું છે, પરંતુ એનડીએના નેતાઓ તેને વિકસિત બિહાર માટેનું નવું સોપાન ગણાવી રહ્યા છે. આગામી ૧૬ માર્ચના રોજ યોજાનારી ચૂંટણી બાદ બિહારને સત્તાવાર રીતે નવા મુખ્‍યમંત્રી મળશે, ત્‍યાં સુધી નીતિશ કુમાર કાર્યકારી મુખ્‍યમંત્રી તરીકે પદ સંભાળી શકે છે.

Related posts

નાશિક ધર્મ પરિવર્તનના ગંભીર આરોપોનો ખુલાસો,આ સમગ્ર કેસની માસ્ટરમાઈન્ડ તરીકે HR મેનેજર નિદા ખાનનું નામ સામે આવ્યું, અન્યની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવાદળના કાર્યકરો BJP માં જોડાયા

Ahmedabad Samay

અનિલ રાજપૂતના ફેક પત્રને લઇ ખળભળાટ, કોંગ્રેસ નેતા અનિલ રાજપુતે કરી સ્પષ્ટતા

Ahmedabad Samay

ઇન્ટરનેશનલ વિમાની ઉડ્ડયનો ક્યારે ?

Ahmedabad Samay

ભુપેન્દ્રભાઇ પટેલ ૧૬ નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ રહેશે ઉપસ્થિત.

Ahmedabad Samay

ભારત – ચીન સીમા પર યુદ્ધના ભણકારા, ત્રણે સેના અલર્ટ પર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો