મધ્યપ્રદેશના સુપ્રસિદ્ધ અને સદીઓ જૂના ભોજશાળા વિવાદ (Dhar Bhojshala Case) પર મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેન્ચે એક અત્યંત યુગપ્રવર્તક અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે ભોજશાળાને સ્પષ્ટપણે એક પ્રાચીન મંદિર તરીકે માન્યતા આપી દીધી છે. જસ્ટિસ વિજય શુક્લા અને જસ્ટિસ આલોક અવસ્થીની ખંડપીઠે પોતાના ચુકાદામાં સાફ કર્યું છે કે આ નિર્ણય કોઈ ઉતાવળમાં લેવાયેલો પગલું નથી, પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યાના રામ જન્મભૂમિ કેસમાં સ્થાપિત કરાયેલા કાનૂની સિદ્ધાંતોના પાયા પર આધારિત છે.
અદાલતે આર્કેઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI) નો વૈજ્ઞાનિક સર્વે રિપોર્ટ, પ્રાચીન શિલાલેખો, ઐતિહાસિક ગેઝેટીયર્સ અને રેકોર્ડ્સના ગહન અભ્યાસ બાદ આદેશ આપ્યો છે કે ભોજશાળા મૂળભૂત રીતે રાજા ભોજ દ્વારા સ્થાપિત વાગ્દેવી (મા સરસ્વતી) નું મંદિર અને સંસ્કૃત શિક્ષણ કેન્દ્ર જ હતું.
અયોધ્યા ચુકાદાના ‘૧૦ સુવર્ણ સિદ્ધાંતો’ બન્યા આધાર
હાઈકોર્ટે પોતાના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતના અયોધ્યા કેસના ૧૦ મુખ્ય સિદ્ધાંતોનો વિગતવાર ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે નોંધ્યું કે ધાર્મિક અને ભૌગોલિક વિવાદોમાં માત્ર કાગળિયા કે દસ્તાવેજો જ સર્વોપરી નથી હોતા, પરંતુ સદીઓ જૂની લોકશ્રદ્ધા, પૂજાની અવિરત પરંપરા અને ઐતિહાસિક સાતત્ય પણ એટલા જ મજબૂત પુરાવા છે. કાયદાની ભાષામાં આવા સંવેદનશીલ કેસોનો નિર્ણય ગાણિતિક ચોકસાઈથી નહીં પરંતુ “સંભાવનાની પ્રાધાન્યતા” (Preponderance of Probability) એટલે કે પુરાવાઓ કઈ તરફ વધુ નમેલા છે તેના આધારે કરવામાં આવે છે.
“મૂર્તિ ભંગ થવા છતાં ધાર્મિક અસ્તિત્વ અકબંધ રહે છે”
આ ચુકાદાનો સૌથી મોટો કાનૂની મુદ્દો એ રહ્યો કે અદાલતે અયોધ્યા કેસના એ સિદ્ધાંતને પુનઃ દોહરાવ્યો કે જો કોઈ આક્રમણખોર દ્વારા મંદિરની મૂર્તિ તોડી નાખવામાં આવે અથવા તે અદ્રશ્ય થઈ જાય, તો પણ તે ભૂમિનો ધાર્મિક હેતુ કે ભક્તોનો આધ્યાત્મિક અધિકાર ક્યારેય સમાપ્ત થતો નથી. કોઈ પણ પવિત્ર સ્થળની ઓળખ માત્ર પ્રત્યક્ષ મૂર્તિથી નહીં પણ ભક્તોની અતૂટ આસ્થા અને તેના ધાર્મિક ઉપયોગથી નક્કી થાય છે. કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે, “અદાલતોનું કામ તર્કસંગતતા ચકાસવાનું નથી પરંતુ શ્રદ્ધાની પ્રામાણિકતા જોવાનું છે.”
ASI રિપોર્ટમાં માળખાકીય છેડછાડના મળ્યા પુરાવા
ભોજશાળાના વૈજ્ઞાનિક સર્વેક્ષણને કોર્ટે પથદર્શક પુરાવો ગણાવ્યો છે. ચુકાદામાં સ્પષ્ટ કરાયું છે કે પુરાતત્વ એ કોઈ અટકળબાજી નથી પરંતુ એક ચોક્કસ વિજ્ઞાન છે. જો કોઈ પ્રાચીન ઇમારતના પાયા કે થાંભલાઓ પર નવી ઇમારત ઠોકી બેસાડવામાં આવી હોય કે તેના માળખાને બદલવાનો પ્રયાસ થયો હોય, તો તે બળજબરીથી કરાયેલા માળખાકીય ફેરફાર (Forced Structural Modification) નો જીવતો જાગતો પુરાવો છે.
૨૦૦૩ ની વ્યવસ્થા રદ: હવે મુસ્લિમ પક્ષ માટે નવું સ્થળ શોધવા સૂચના:
હાઈકોર્ટે વર્ષ ૨૦૦૩ માં ASI દ્વારા લાગુ કરાયેલી તે વિવાદાસ્પદ વ્યવસ્થાને સંપૂર્ણપણે રદ કરી દીધી છે, જે અંતર્ગત હિન્દુઓને મંગળવારે પૂજા કરવાની અને મુસ્લિમોને શુક્રવારે નમાજ પઢવાની મંજૂરી અપાઈ હતી. હવેથી હિન્દુ પક્ષને ત્યાં નિયમિત પૂજા-અર્ચના કરવાનો સંપુર્ણ ન્યાયિક અધિકાર મળી ગયો છે. આ સાથે જ કોર્ટે સામાજિક સૌહાર્દ જાળવવા માટે સરકારને સલાહ આપી છે કે મુસ્લિમ સમુદાયને નમાજ અદા કરવા માટે કોઈ અન્ય વૈકલ્પિક સ્થળ ફાળવવામાં આવે અને સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે કડક પગલાં લેવામાં આવે.
