જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓ વિરૂદ્ધ ચાલી રહેલા ‘ઓપરેશન શેરાવાલી’ દરમિયાન ભારતીય સેનાના એક જાંબાઝ અધિકારી શહીદ થયા છે. ડોરિમાલ અને ગંભીર મુગલાન વિસ્તારના દુર્ગમ પહાડી જંગલોમાં સુરક્ષા દળો દ્વારા સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું, ત્યારે અકસ્માતે પગ લપસવાના કારણે લેફ્ટનન્ટ બિરેશ્વર ગોસ્વામી ૩૦ મીટર ઊંડી ખાઈમાં ખાબક્યા હતા. ગંભીર ઈજાઓ થવાના લીધે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સેનાએ બચાવ કામગીરી કરીને શહીદ અધિકારીનો પાર્થિવ દેહ ખાઈમાંથી બહાર કાઢ્યો છે.
મળતી વિગતો મુજબ, આ વિસ્તારમાં ૨ થી ૩ પાકિસ્તાની આતંકવાદીઓ છુપાયેલા હોવાની સચોટ ગુપ્ત માહિતીના આધારે સેના, પોલીસ અને પેરામિલિટરી ફોર્સ દ્વારા આ સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પહાડી અને જોખમી ભૌગોલિક પરિસ્થિતિ વચ્ચે જ્યારે સેનાની ટુકડી આગળ વધી રહી હતી, ત્યારે જ આ કરૂણ અકસ્માત સર્જાયો હતો. લેફ્ટનન્ટ ગોસ્વામી ખાઈમાં પડતાં જ સાથી જવાનોએ તાત્કાલિક યુદ્ધના ધોરણે રેસ્કયૂ ઓપરેશન હાથ ધરીને તેમને બહાર કાઢ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓ જીવલેણ સાબિત થઈ હતી.
ભારતીય સેનાના વ્હાઇટ નાઇટ કોર્પ્સ (White Knight Corps) ના વરિષ્ઠ અધિકારીઓએ સોશિયલ મીડિયા પર શોક સંદેશ જાહેર કરીને વીર જવાનની શહાદતને નમન કર્યા છે. સેનાએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, “લેફ્ટનન્ટ બિરેશ્વર ગોસ્વામીએ અત્યંત કઠિન પરિસ્થિતિઓમાં પણ અદમ્ય સાહસ બતાવી પોતાના કર્તવ્યનું પાલન કર્યું અને દેશની સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.” સૈન્ય અધિકારીઓએ તેમને સાહસ, દેશભક્તિ અને અપ્રતિમ ફરજનિષ્ઠાના પ્રતીક ગણાવી અંજલિ અર્પી છે.
આ દુર્ઘટના બાદ પણ સરહદી વિસ્તારમાં આતંકવાદીઓને શોધવાનું અભિયાન રોકવામાં આવ્યું નથી. સેનાએ સમગ્ર જંગલ વિસ્તારને ચારેય તરફથી ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન વધુ તેજ કરી દેવામાં આવ્યું છે જેથી છુપાયેલા આતંકવાદીઓ સરહદ પાર ભાગી ન શકે. શહીદ લેફ્ટનન્ટના પાર્થિવ દેહને જરૂરી સૈન્ય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સંપૂર્ણ સરકારી સન્માન સાથે તેમના વતન મોકલવાની તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
