ગુજરાતમાં લાંબા વિરામ બાદ અષાઢ મહિનાના આરંભે ફરીથી વરસાદી માહોલ જામી રહ્યો છે. ગઈકાલે મેઘરાતા અષાઢી બીજનું મુહૂર્ત સાચવતા હોય, તેમ રાજ્યના 90થી વધુ તાલુકામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા નોંધાયા હતા. જો કે હજુ પણ રાજ્યના અનેક તાલુકાઓ વરસાદથી વંચિત છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મોટી આગાહી કરી છે.
બંગાળના ઉપસાગરના વહન, અરબ સાગરના ભેજના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની શક્યતાને જોતા 21 જુલાઈથી ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવશે.
આગામી 21 જુલાઈએ મધ્ય ગુજરાતના ભાગોમાં 4 ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટા પડશે. 22 થી 30 જુલાઈ દરમિયાન તબક્કાવાર સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થઈ શકે છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મૂશળધાર વરસાદ વરસી શકે છે.
25 જુલાઈથી વડોદરા, મહીસાગર, પંચમહાલ સહિતના મધ્ય ગુજરાતના ભાગોમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસી શકે છે. જ્યારે આ સમયે ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓમાં 2 થી 3 ઈંચ સુધી વરસાદ પડશે
કોઈ ભાગોમાં ભારે વરસાદી ઝાપટા વરસી શકે છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. જ્યારે અત્યાર સુધી વરસાદની ઘટ ધરાવતા કચ્છ જિલ્લામાં પણ મહિનાના છેલ્લા 5 દિવસ દરમિયાન 3 ઈંચથી વધુ વરસાદ વરસી શકે છે.
