IIMમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ જોઇને આવેલા 5 વિદ્યાર્થીઓ સુપર સ્પ્રેન્ડર બન્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોયા બાદ સંક્રમિત થયેલા IIMના 5 વિદ્યાર્થીઓએ વાતને છુપાવી હતી. છેલ્લા 4 દિવસમાં અમદાવાદ IIMમાં કુલ 40 લોકો કોરોના સંક્રમિત થયા છે. ગઇકાલે IIMમાં વધુ 17 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
સંક્રમિત વિદ્યાર્થીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા નહતા. પીજીપી-2ના વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે સંસ્થાએ ના તો કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓને આઇસોલેટ કર્યા અને ના તો તેમણે 18-19 માર્ચે યોજાયેલી ઓફલાઇન પરીક્ષામાં સામેલ થતા રોક્યા હતા. આ કારણે IIMમાં કોરોનાના કેસ અચાનક વધી ગયા અને તમામના સ્વાસ્થ્યને ખતરામાં મુકી દીધો હતો. જોકે, IIM અમદાવાદે આ ગંભીર આરોપોને ફગાવી દીધા છે
ઉત્તર પશ્ચિમ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડૉ. મેહુલ આચાર્યએ કહ્યુ કે, IIM કેમ્પસના વિદ્યાર્થીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ડોમ ઉપર ચેકિંગ કરાવ્યું હતું પણ ઇન્ડિયન ઇંસ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) કેમ્પસનું સરનામું આપ્યુ નહતું, તેના બદલામાં તેમણે પોતાના વતનના સરનામા આપ્યા હતા. IIM કેમ્પસમાં કોરોનાના કેસ વધતા વિદ્યાર્થીઓનું ગુરૂવારે ચેકિંગ કરવામાં આવતા 17 વિદ્યાર્થીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. બે સેમ્પલમાં ઉંમર વધુ હોવાથી IIMના પ્રોફેસર કોરોના સંક્રમિત થયા હોવાનું AMCનું અનુમાન છે.
