
હાલમાં જ બ્રિટનના નિષ્ણાંતોએ દાવો કર્યો છે કે દુનિયાભર અત્યંત સસ્તી અને સરળતાથી મળતી દવા દર્દીનો જીવ બચાવવામાં મદદ કરી શકે છે.
રિસર્ચરોનું અનુમાન છે કે જો આ દવાનો ઉપયોગ બ્રિટનમાં સંક્રમણના શરૂઆતના તબકકામાં કરાયો હોત તો લગભગ પાંચ હજાર લોકોના જીવ બચાવી શકાત. ઓકસફર્ડ યુનિવર્સિટીની એક ટીમે હોસ્પીટલોમાં દાખલ ર૦૦૦ દર્દીઓને આ દવા આપી અને તુલનાત્મક અભ્યાસ એવા ૪૦૦૦ દર્દીઓ પર કર્યો જેમને દવા નહોતી અપાઇ. આ દવા અપાયા પછી જે દર્દીઓ વેન્ટીલેટર પર હતા તેમના પરથી મરવાનું જોખમ ર૮ થી ૪૦ ટકા ઓછું થયું હતું અને જેમને ઓકસીજનની જરૂર હતી તેમના પર આ જોખમ ર૦ થી રપ ટકા ઓછું થયું હતું.
રિસર્ચરો અનુસાર કોરોના સંક્રમણ શરીરમાં સોજા વધારવાની કોશીષ કરે છે. જયારે ડેકસા મેથાસેન આ પ્રક્રિયાને ધીમી કરવામાં કારગત જોવા મળ્યું છે. આ દવા સસ્તી પણ છે એટલે ગરીબ દેશો માટે ફાયદાકારક સાબીત થઇ શકે છે.
ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સ્પલાન્ટેશન સાયન્સ્ના ડીન ડોકટર પંકજ શાહનું કહેવું છે કે રેમડેસીવીરની અછતમાં જો ડોકટર સલાહ આપે તો ગંભીર દર્દીઓને ડેકસામેથાસોનનું ઇન્જેકશન કે ગોળીઓ આપી શકાય છે. તે શ્વાસની તકલીફમાં ફાયદો કરી શકે છે. કયારેક બહુ ગંભીર દર્દીને રેમડેસીવીર અને ડેકસામેથાસોન બન્ને પણ અપાય છે.
