અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ની કચેરી બહાર સોમવારે કોંગ્રેસ દ્વારા જનઆક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણની આગેવાની હેઠળ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતા અને કાર્યકર્યાઓએ ભાગ લીધો હતો.
એએમસી કમિશનરને આપ્યો આવેદન પત્ર
માહિતી મુજબ, શહેરના હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર મુદ્દે સરકારને ઘેરવાના ઇરાદે એએમસી કચેરી બહાર કોંગ્રેસના નેતા શહેઝાદ ખાન પઠાણની આગેવાની હેઠળ જનઆક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનઆક્રોશ રેલીમાં કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ કાળા કપડા પહેરીને વિવિધ બેનર અને પોસ્ટર સાથે કચેરી ખાતે પહોંચ્યા હતા અને હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર કરનારા તમામ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવા અને સજાની માગી કરી હતી. આ સાથે શહેઝાદ ખાન પઠાણે કમિશનરને આવેદન પત્ર પણ આપ્યો હતો.
પૂર્વ મ્યુનિ. કાઉન્સિલરના 72 કલાકના પ્રતિક ઉપવાસ
આ સાથે એવી માહિતી છે કે હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચાર મામલે હવે પૂર્વ મ્યુનિ. કાઉન્સિલર જ્યોર્જ ડાયસ સોમવારેથી 72 કલાકના ઉપવાસ શરૂ કરશે. તેમની સાથે પ્રતિક ઉપવાસમાં પૂર્વ વિસ્તારના મ્યુનિ. કાઉન્સિલર જગદીશ રાઠોડ, ઈકબાલ શેખ, ઝુલ્ફીખાન પઠાણ તથા અન્ય મ્યુનિ. કાઉન્સિલરો પણ જોડાશે. જણાવી દઈએ કે, હાટકેશ્વરમાં રૂ. 40 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે બ્રિજને 50 વર્ષ સુધી કંઇ નહીં થાય. પરંતુ, બ્રિજ બન્યા પછી લગભગ 6 વખત રિપેરિંગ માટે બંધ કરવામાં આવ્યો અને હાલ પણ છેલ્લા ઘણા મહિનાથી બ્રિજ બંધ છે.
