મહારાષ્ટ્રના બીડ જિલ્લાના માજલગામમાં વાંદરાઓ અને કૂતરાઓ વચ્ચેની લડાઈનો એક વિચિત્ર કિસ્સો આજકાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ન્યૂઝ રિપોર્ટ્સ મુજબ, વાંદરાઓનું સમૂહ લગભગ ૨૫૦ કૂતરાઓને મારી ચૂક્યું છે. ગામના લોકોએ જણાવ્યું કે વાંદરાઓ બદલો લેવા માટે આવું કરી રહ્યા છે. ગામના લોકોના જણાવ્યા મુજબ, સૌપ્રથમ કૂતરાઓએ વાંદરાના એક બચ્ચાને મારી નાખ્યું હતું. જેથી નારાજ વાંદરાઓના સમૂહે કૂતરાઓને મારવાનું શરૂ કર્યું. વાંદરાઓ હવે કૂતરાઓને ખેંચીને લઈ જઈ રહ્યા છે અને આ કૂતરાઓને ધાબા અથવા વૃક્ષ પરથી નીચે ફેંકી રહ્યા છે.
ગામમાં દરરોજ કૂતરાના મોત વિશે જાણવા મળી રહ્યું છે. ત્યાં વાંદરાઓની સંખ્યા એટલી વધારે થઈ ગઈ છે કે ગામના લોકો ડરના કારણે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લાના માજલગામમાં વાંદરાઓ અને કૂતરાઓ વચ્ચેની લડાઈ મામલે મહારાષ્ટ્રનો ફોરેસ્ટ વિભાગ પણ સક્રિય થઈ ગયો છે.
ગામના લોકોની ફરિયાદ બાદ નાગપુરની ફોરેસ્ટ ટીમે ૨ વાંદરાને પકડ્યા છે. વન્યજીવ વિભાગનું કહેવું છે કે ઝડપાયેલા આ બંને વાંદરાને પાસેના કોઈ જંગલમાં છોડી મૂકાશે. વન્ય જીવ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ઘણાં દિવસોથી આ વાત અંગેની ફરિયાદ મળી રહી હતી કે બે વાંદરા, ગલુડિયાઓને નિશાન બનાવી રહ્યા છે. જ્યારે આ વાંદરાઓને પકડવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે તેઓ બચી છૂટવામાં સફળ થતા હતા. પણ, શનિવારે આ વાંદરાઓને પકડવામાં સફળતા મળી.
આ વાંદરાઓને પાંજરામાં કેદ કરાયા છે. અધિકારીઓએ એવું પણ જણાવ્યું છે કે એવું બની શકે છે કે કોઈ ઘટનામાં કૂતરાઓએ વાંદરાના બચ્ચા પર હુમલો કર્યો અને બદલો લેવાના હેતુથી વાંદરાઓ આ ગલુડિયાઓને નિશાન બનાવી રહ્યા હોય.

