કોરોનાની સંભવિત ત્રીજી લહેરને રોકવા માટે ગૃહ વિભાગ સતર્ક થયુ છે. રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી જાહેરનામામાં ફેરફાર કરીને રાત્રી કરફ્યુનો અમલ રાતના એક વાગ્યાને બદલે 11 વાગ્યાથી શરૂ કરાવ્યો હતો. જેને લઇને ગૃહવિભાગે આ બાબતે ગંભીરતા દાખવીને પોલીસને તાકીદ કરી છે.
ગૃહવિભાગે કોરોનાની સંભવિત લહેરને કાબુમાં રાખવા માટે કરફ્યુનો અમલ આઠ મહાનગરોમાં કરાવવાની સાથે રાજ્યના અન્ય શહેરોમાં કોરોનાની ગાઇડલાઇનનું કડક પાલન થાય તે માટે પોલીસને વધુ સક્રિય થવા જણાવ્યું છે.
ડીજીપી આશિષ ભાટીયાએ રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અિધકારીઓ, જિલ્લા પોલીસ વડા, પોલીસ કમિશનર્સને તાકીદ કરી છે કે તેમના જિલ્લાઓ અને વિસ્તારોમાં રાત્રી કરફ્યુનો કડક અમલ કરાવવા માટે તમામ જરૂરી પગલા ભરવામાં આવે.
અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં રાતના 11 વાગ્યા બાદ વગર કારણસર બહાર ફરતા લોકો સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તેમજ માસ્ક, સોશિયલ ડીસ્ટન્સીંગ જેવા નિયમોનો અમલ થાય તે માટે પણ કાર્યવાહી કરવા માટે જણાવાયું છે.
આ સાથે માસ્ક નહી પહેરનારાઓ સામે દંડ વસુલવાની કાર્યવાહી પુન: શરૂ કરવા માટે સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત, 31મી ડિસેમ્બરની ઉજવણી માટે લોકો બહાર ન આવે તે માટે અત્યારથી રાતના 11 વાગ્યા સુધીમાં તમામ કેક શોપ, પાર્લર અને રેસ્ટોરન્ટ બંધ રહે તે અંગે કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવ્યું છે.
દુનિયાભરના દેશો સહિત સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની સાથે કોરોનાના નવા વેરીએન્ટ ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. જેમાં ગુજરાતમાં પણ એક જ દિવસમા 179 કેસ નોંધાયા છે.

