ઝૂલતો પુલ દુર્ઘટના : જેલમાં બંધ જયસુખ પટેલે વચગાળાની જામીન અરજી કરી, ૪ માર્ચે સુનાવણી
છેલ્લા ૨૦ દિવસથી જયસુખ પટેલ જેલમાં બંધ
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં ૧૩૫ નિર્દોષ નાગરિકોના મોત બાદ પોલીસે ઓરેવા ગ્રુપના એમડી સહીત કુલ ૧૦ આરોપીઓની ધરપકડ કરી જેલમાં મોકલી દીધા છે ત્યારે ૨૦ દિવસથી જેલમાં બંધ જયસુખ પટેલે આજે વચગાળાની જામીન અરજી કરી છે
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના સમયથી ફરાર રહેલા જયસુખભાઈ પટેલે કોર્ટ સમક્ષ સરન્ડર કરતા જેલહવાલે કરવામાં આવ્યા હતા અને બાદમાં પોલીસે આરોપીનો કબજો મેળવી રિમાન્ડ મેળવી પૂછપરછ કરી હતી જે રિમાન્ડ પૂર્ણ થયા બાદ ફરી તેમને સબ જેલ હવાલે કરવામાં આવ્યા હતા ત્યારે ૨૦ દિવસથી જેલમાં બંધ જયસુખ પટેલે કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી છે
મોરબીની કોર્ટમાં જયસુખભાઈ પટેલે આજે વચગાળાની જામીન માટે અરજી કરી છે જેમાં તેમના તરફેના વકીલે કોર્ટમાં દલીલો કરી હતી કે હાઇકોર્ટ દ્વારા પીડિતોને વળતર ચુકવવા જે આદેશ કરાયો છે જેના માટે તેઓને બેંકના કામકાજ સબબ બહાર નીકળવું પડે તેમ હોય જેથી વચગાળાના જામીન આપવામાં આવે તેવી અરજી કરી છે ત્યારે કોર્ટે દલીલો સાંભળી વધુ સુનાવણી તારીખ ૦૪ માર્ચના રોજ મુકરર કરી છે અને હવે તા. ૦૪ માર્ચે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો હોય જેમાં હાઈકોર્ટે પીડિત પરિવારોને વળતર ચુકવવા આદેશ આપ્યો છે જેથી તે દલીલ રજુ કરીને વચગાળાના જામીન માટે અરજી કરાઈ છે ત્યારે હવે મોરબીની કોર્ટ તા. ૦૪ માર્ચે જયસુખ પટેલના વચગાળાના જામીન મંજુર કરે છે કે નહિ તે જોવું રહ્યું