ગાંધીનગરના ઝુંડાલ સર્કલ પાસે એક ગોઝારા અકસ્માતની ઘટના બની છે, જેમાં એક રિક્ષાચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ઝુંડાલ સર્કલ પાસે એક અજાણ્યા વાહને રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી, જેથી રિક્ષાચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી. ગાંઘીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન રિક્ષાચાલકનું મોત થયું છે. આ મામલે અડાલજ પોલીસે ગુનો નોંધી અજાણ્યા વાહનચાલકની શોધખોળ આદરી છે.
માહિતી મુજબ, ગાંધીનગરના તારાપુર ગામમાં રહેતા વિજય ઠાકોરના કુટુંબી ભાઇ ગાભુસિંહ ઠાકોર અમદાવાદના રાણીપ ખાતે આવેલી એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા હતા. આથી ગાભુસિંહ તારાપુરથી રાણીપ પોતાની રિક્ષા લઈને નોકરી પર આવતા-જતા હતા. દરમિયાન બુધવારે રાતે વિજયભાઈ જ્યારે ઘરે હતા ત્યારે તેમના એક મિત્રનો ફોન આવ્યો હતો કે ઝુંડાલ સર્કલથી અડાલજ બાલાપીર તરફ આવતા રોડ પર ગાભુસિંહની રિક્ષાને કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા અકસ્માત થયો છે અને તેમને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
અડાલજ પોલીસે ગુનો નોંધ્યો
આથી અકસ્માતના સમાચાર સાંભળી વિજયભાઈ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ગાભુસિંહ બેભાન અવસ્થામાં હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. પરંતુ, ટૂંકી સારવાર બાદ ગાભુંસિંહનું મોત નીપજ્યું હતું. આ મામલે વિજયભાઈએ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે.
