રપ માર્ચથી શરૂ થયેલ લોકડાઉનના કારણ બંધ રહેલ વેપાર-રોજગાર ફરી શરૂ કરવા કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન મુજબ વિજયભાઇ રૂપાણીની સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. તે મુજબ આવતી કાલથી ઠંડા-પીણા, પાન-મસાલા, હેર કટીંગ સલૂન જેવા મર્યાદિત પ્રકારના ધંધાઓ સિવાય તમામ પ્રકારના ધંધાઓ કોરોનોના નિયમો જાળવવાની શરતે શરૂ કરી શકાશે. મહામારીથી ઠપ્પ થઇ ગયેલા ધંધા-રોજગારને ફરીથી ચાલુ કરવા સરકારનો આ નિર્ણય મહત્વનો સાબિત થશે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પત્રકારો સમક્ષ જાહેર કર્યા મુજબ મોલ અને કોમ્પ્લેક્ષ સિવાયની સરકારે જાહેર કરેલી તમામ પ્રકારના ધંધાઓની દુકાનો રાબેતા મુજબ સરકારની ગાઇડ લાઇન મુજબ શરૂ કરી શકાશે. દુકાનદારે ઘરે થી દુકાને જવા આવવા માટે અલગ પાસ કાઢવવાની જરૂર નથી તેનો ગુમાસ્તાધારાનો પુરાવો (શોપ લાયસન્સ) જ તેનો પાસ ગણાશે. ધંધો ચાલુ કરવા માટે અન્ય કોઇ કચેરીની મંજુરી લેવાની રહેશે નહીં. આઇટી અને આઇટી સાથે સંકળાયેલ વ્યવસાય કોરોનાની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તારની બહાર હોય તો તે શરૂ કરવા મંજુરી આપવામાં આવી છે. રાજયમાં લોકડાઉન વખતથી જ કરીયાણા, દૂધ, શાકભાજી, મેડીકલ વિગેરે ચાલુ રાખવાની છુટ અપાયેલ હતી, થોડા દિવસ પહેલા મહાનગરો સિવાયના વિસ્તારોમાં ઉદ્યોગો ચાલુ કરવા માટે છુટ આપવામાં આવી હતી.
આજે રાજય સરકારે ઠંઠા-પીણા, પાન-મસાલા, હેરકટીંગ અમુક ધંધાઓને બાદ કરતા બાકીના તમામ ધંધાઓ માટે મોલ અને કોમ્પ્લેક્ષ સિવાયની દુકાનો શરૂ કરવા માટે છુટ આપી છે. રેડ ઝોનમાં કોઇ કામકાજ થઇ શકશે નહીં. નાના-મોટા દુકાનદારોએ સોશિયલ ડિસન્ટ જાળવવુ પડશે. માસ્ક અને મર્યાદિત સ્ટાફનો નિયમ પણ પાળવો પડશે. લગભગ ૧ મહિના પછી કાલે મોટા ભાગના ધંધાઓ શરૂ થશે. કાલે રવિવાર હોવાની બજારો સોમવારથી ધમધમતા દેખાશે.
આવતીકાલથી કઇ-કઇ દુકાનો ખુલી રહેશે અને કઇ-કઇ દુકાનો બંધ રહેશે – ખુલી રહેશેઃ
ચશ્માની દુકાનો, કરિયાણાની દુકાન, ગેરેજ, એસી રીપેરીંગ, ખાનગી ડેરી, ઇલેકટ્રીશ્યન, મોબાઇલ રીચાર્જની દુકાનો, સ્ટેશનરીની દુકાનો, પંચરની દુકાનો, ઇલેકટ્રીકની દુકાનો –
બંધ રહેશેઃ
ફુલની દુકાનો, ટ્રાવેલ્સની ઓફિસો, ગીફટ આર્ટીકલ્સ, ફોટો સ્ટુડીયો, હાર્ડવેર-કટલેરીની દુકાનો, રીક્ષાઓ, પગરખા, પાનના ગલ્લા, આઇસ્ક્રીમ પાર્લરો, નાસ્તા-ફરસાણની દુકાનો, ઠંડાપીણાની દુકાનો, ચાની હોટલો, રેસ્ટોરન્ટ, હેર સલુન.
