કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે, અમદાવાદ રેલવે સ્ટેશને ચાલતા વિકાસલક્ષી કાર્યની સમિક્ષા હાથ ધરી હતી. આ દરમિયાન તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, અમદાવાદ અને સુરત સહિત દેશના 20 એવા શહેર છે જ્યાંથી રોજ નવી ટ્રેન દોડાવવાની માંગણી રેલવે વિભાગ પાસે આવે છે.
આ માંગણીઓને ધ્યાને લઈને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને વધારાના 3 પ્લેટફોર્મ બનાવવામાં આવશે. જ્યારે વટવા રેલવે સ્ટેશનને મેગા ટર્મિનલ બનાવીને ત્યાં રેલવેની નવી 10 લાઈન નાખવાનુ આયોજન છે. આમ કરવાથી વટવા રેલવે સ્ટેશનેથી રોજ નવી 150 ટ્રેનની આવન જાવન થઈ શકશે.
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને ચાલતા કામ અંગે અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, અમદાવાદ રેલવે સ્ટેશને 16 માળની ઈમારત બનશે. સરસપુર તરફ બની રહેલ બુલેટ ટ્રેનનુ સ્ટેશન આ રેલવે સ્ટેશનનો ભાગ હશે. હાલમાં 16 પૈકી 4 માળનું બાંધકામ પૂર્ણ થયું છે. આ રેલવે સ્ટેશને આવવા માટે એલિવેટેડ રોડ બનાવવામાં આવશે. જેના ગડરનું કામ પૂર્ણ થયું છે.
