આજથી બધું અનલોક-૧નો પ્રારંભ કરી શોપીંગ મોલ અને રેસ્ટોરન્ટ ખોલવાની મંજુરી આપી છે. મોલ આજથી ખુલ્યા છે પરંતુ સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરવાનું રહેશે. અંદર ભીડ ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવશે. આ ઉપરાંત નાઈટ કર્ફયુને બાદ કરતા હવે બહાર જવા પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ નથી.
એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા પરમીશનની પણ જરૂર નથી. બાઈકમાં બે લોકો બેસી શકે છે. કારમાં પણ બેસવાના પ્રતિબંધ ઉઠાવી લેવાયા છે. ઓફિસો હવેથી પૂર્ણ ક્ષમતાથી શરૂ થઈ ગઈ છે. જો કે સ્વચ્છતા અને સામાજિક અંતરનું પાલન કરવામાં આવી રહ્યુ છે. દેશની સાપ્તાહિક બજાર કે જેના પર મોટી વસ્તી નિર્ભર છે તે પણ હવે ખુલશે. અત્યાર સુધી લોકલ ઓથોરીટીના હિસાબથી માર્કેટના ટાઈમીંગ નક્કી થતા હતા જો કે અંતિમ નિર્ણય કલેકટર જ લેશે.
આજથી મોટાભાગના મંદિરો પણ ભકતો માટે ખુલી ગયા છે. સવારથી જ ભકતો મંદિરોમાં ભગવાનના દર્શન અને આશિર્વાદ માટે ઉમટી પડયા હતા. આજથી મોટાભાગનો દેશ ફરી ખુલી ગયો છે, સરકારે ઘડેલી તમામ ગાઈડ લાઈન્સનો લોકોએ અને સંચાલકોએ અમલ કરવાનો રહેશે. સ્વચ્છતા, માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સીંગ, સેનેટાઈઝેશન વગેરે નિયમોનું કડક પાલન કરવાનુ રહેશે.
ધાર્મિક સ્થળોમાં સાબુથી હાથ ધોવાના રહેશે. જોડા ગાડીમાં જ રાખવાના રહેશે. ભજન-કિર્તન કરી નહિ શકાય, ભગવાનને સ્પર્શ પણ કરી નહી શકાય, પ્રસાદ પણ નહિ મળે. જ્યારે મોલ અને હોટલ, રેસ્ટોરન્ટમાં માસ્ક, સેનેટાઈઝર, ૫૦ ટકા કેપેસીટી, ડીસ્પોઝેબલ મેનુ અને નેપકીન, ફુડ કોર્ટમાં અડધા લોકોને જ પ્રવેશ, શોરૂમમાં ચેન્જીંગ એરીયા પણ બંધ રહેશે. મહારાષ્ટ્ર, ઝારખંડ, ગોવા, ઓડીસામાં ૩૦મી સુધી ધાર્મિક સ્થાનો બંધ રહેશે.
