હાર્દિક પટેલે નવા મંત્રીમંડળ મુદ્દે ભાજપ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, ચૂંટણીના એક વર્ષ બાકી છે ત્યારે મોટું નાટક કરી ભાજપ સરકાર લોકોને ગેરમાર્ગે દોરે છે. ભાજપે નો રિપીટ થિયરી અપનાવી છે એટલે હવે પ્રજાએ પણ ભાજપ માટેનો રિપીટ થિયરીનું મન બનાવી લીધું છે. હાર્દિક પટેલ આજે જામનગરના બેડીમાં વરસાદમાં મૃત્યુ પામેલા માછીમાર પરિવારની મુલાકાતે આવ્યા હતા.
જામનગરમાં ભારે વરસાદી વાતાવરણ વચ્ચે દરિયાના વહેણમાં માછીમારી કરવા ગયેલા બેડી વિસ્તારના બે માછીમાર બંધુના ડૂબી જવાથી મૃત્યું થયા હતા. હાર્દિક પટેલ અસરગ્રસ્ત પરિવારની મુલાકાતે આવ્યા હતા. સ્થાનિક અગ્રણીઓ સાથે મુલાકાત દરમ્યાન મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી મદદની ખાતરી આપી હતી.
તે પછી તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપના નારાજ નેતાઓ અંગે કહ્યું કે, નીતિન પટેલ સહિત નારાજ મંત્રીઓને વિપક્ષમાં આવવું હોય તો અમારા દરવાજા ખુલ્લા છે. અગાઉ પણ હાર્દિક પટેલે સરકારમાં જે હલચલ ચાલી રહી હતી તેને લઇને નિવેદન આપતા જણાવ્યું હતું કે, આરએસએસ અને ભાજપના સર્વેમાં કોંગ્રેસ જીતી રહ્યું છે. આ કારણે જ ગુજરાતના મુખ્યમંત્રી પાસેથી રાજીનામું લેવામાં આવ્યું છે.