રશિયાની રાજધાની મોસ્કો નજીક આવેલા ક્રોકસ સિટી હોલમાં જોરદાર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં અત્યાર સુધીમાં ૯૩ લોકોના મોત થયા છે, જ્યારે ૧૪૫ લોકો ઘાયલ થયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયામાં આ સૌથી મોટો હુમલો છે. ક્રોકસ સિટી હોલના કોન્સર્ટ હોલમાં કોન્સર્ટ માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. આ દરમિયાન સશષા આતંકવાદીઓ હોલમાં ઘૂસી ગયા અને લોકોને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું. આ પછી તેઓએ બિલ્ડિંગને આગ લગાવી દીધી. આ હુમલામાં ૬૦ની હાલત ગંભીર છે. આ હુમલાની જવાબદારી isis સંગઠને લીધી છે
રશિયાની રાજધાની મોસ્કોના ક્રોકસ સિટી હોલમાં પાંચ બંદૂકધારીઓએ ટોળા પર ગોળીબાર કરતાં ઓછામાં ઓછા ૯૩ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ૧૪૫ લોકો ઘાયલ થયા હતા. રશિયાના આરોગ્ય મંત્રાલયના વડા મુરાશ્કોએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દાખલ કરાયેલા ૧૪૫ લોકોમાંથી ૬૦ની હાલત ગંભીર છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્થિતિને કાબુમાં લેવા માટે રશિયન નેશનલ ગાર્ડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેમણે આતંકીઓને પહોંચી વળવા માટે પોતાનું ઓપરેશન પણ શરૂ કરી દીધું હતું. આ કામગીરીમાં હેલિકોપ્ટરની પણ મદદ કરવામાં આવી હતી. ૫૦થી વધુ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી, જેમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ૫ હુમલાખોરોમાંથી એકને પકડવામાં આવ્યો છે. રશિયન સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, કોન્સર્ટ શરૂ થાય તે પહેલાં અજાણ્યા શખ્સો ક્રોકસ સિટી હોલમાં ઘૂસી ગયા હતા અને ગોળીબાર કર્યો હતો. અહેવાલો અનુસાર, હોલમાં ફાયરિંગ બાદ ગ્રેનેડથી પણ હુમલો કરવામાં આવ્યો હતો.
પ્રખ્યાત રશિયન રોક બેન્ડ ‘પિકનિક’ ના કોન્સર્ટમાં ભાગ લેવા માટે ક્રોકસ સિટી હોલમાં ભીડ એકઠી થઈ હતી ત્યારે આ હુમલો થયો હતો. આ હોલમાં ૬ હજારથી વધુ લોકો બેસી શકે છે. લડાકુ જેવા પોષાકમાં ઓછામાં ઓછા પાંચ માણસો કોન્સર્ટ હોલમાં પ્રવેશ્યા અને ગોળીબાર કર્યો.
ISISએ આ આતંકવાદી હુમલા અંગે દાવો કર્યો છે, પરંતુ તેની કોઇ પુષ્ટિ થઇ શકી નથી. મોસ્કોના મેયર સર્ગેઇ સોબ્યાનિને આ હુમલાને મોટી દુર્ઘટના ગણાવી હતી.
રશિયાની ટોચની તપાસ એજન્સી ગોળીબાર, વિસ્ફોટ અને ગોળીબારની તપાસ આતંકવાદી હુમલા તરીકે કરી રહી છે. તપાસ સમિતિએ કહ્યું કે તેણે આરોપોની ગુનાહિત તપાસ શરૂ કરી છે, પરંતુ એ નથી જણાવ્યું કે આ હુમલા પાછળ કોનો હાથ હોઈ શકે.
હાલ મોસ્કો એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું છે અને ટ્રેનોની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે. સાથે જ મોસ્કોમાં પણ જાહેર સ્થળો પર લોકોને એકઠા થવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
અહેવાલો અનુસાર, થોડા દિવસો પહેલા અમેરિકાએ આતંકવાદી હુમલાને લઇને એલર્ટ જાહેર કર્યું હતું. તેમણે તેમના નાગરિકોને મોસ્કોમાં સામૂહિક મેળાવડામાં ન જવાની સલાહ આપી હતી.
અમેરિકાએ આ આતંકવાદી હુમલાને લઇને નિવેદન જાહેર કરીને કહ્યું છે કે મોસ્કોમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં યુક્રેનની ભૂમિકાના કોઇ પ્રારંભિક સંકેત મળ્યા નથી.
રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જ્હોન કિર્બીએ જણાવ્યું હતું કે અમેરિકા હજી પણ માહિતી એકઠી કરી રહ્યું છે. આ ગોળીબારમાં યુક્રેન કે યુક્રેનના કોઈ પણ લોકો સંડોવાયેલા હોવાના કોઈ સંકેત મળ્યા નથી.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આ હુમલાને ‘જઘન્ય અને કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલો’ ગણાવીને તેની આકરી નિંદા કરી હતી.
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પણ આતંકી હુમલાની નિંદા કરતા કહ્યું કે ફ્રાંસ ગોળીબારના પીડિતોની સાથે એકજૂથતામાં ઉભું છે. ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ કહ્યું હતું કે ‘મોસ્કોમાં નિર્દોષ નાગરિકોની હત્યા અસ્વીકાર્ય છે.’ તેઓ આ હુમલાના પીડિતોની સાથે છે.
